દિલ્હીમાં નવવિવાહિતાનું રહસ્યમય મોત, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો
દિલ્હીની લોધી કોલોનીમાં 28 વર્ષીય નવવિવાહિતા આકૃતિ સુતારના મોતના કેસે અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, શનિવારે આકૃતિ ત્રીજા માળેથી નીચે પડી ગઈ હતી. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જોકે, પરિવાર આ ઘટનાને આત્મહત્યા માનવા તૈયાર નથી અને સીધો હત્યાનો આરોપ લગાવી રહ્યો છે.
મોત પહેલાં ઓફિસમાં પાર્ટી કરી, માતા સાથે સામાન્ય વાતચીત
પરિવારના જણાવ્યા મુજબ, ઘટનાના દિવસે આકૃતિ રોજની જેમ ઓફિસે ગઈ હતી. તેણે પોતાના સહકર્મચારીઓ માટે નાની પાર્ટી પણ રાખી હતી. પરિવારનું કહેવું છે કે તેના વર્તનમાં કોઈ એવી બાબત દેખાતી નહોતી કે તે માનસિક તણાવમાં હોય અથવા આત્મહત્યાનો વિચાર કરતી હોય. પરિવારનો દાવો છે કે સાંજે લગભગ 6 વાગ્યે આકૃતિએ તેની માતા સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેણે ઓફિસની પાર્ટી વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે હવે ઘરે પરત ફરી રહી છે. પરિવારનું કહેવું છે કે માત્ર 3 કલાકમાં એવી શું ઘટના બની કે આત્મહત્યા જેવું પગલું ભરવું પડે?
પતિનો ફોન આવ્યો, પછી પોલીસ તરફથી મળી દુઃખદ જાણ
પરિવારના જણાવ્યા મુજબ, રાત્રે લગભગ 8 વાગ્યે આકૃતિના પતિનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે આકૃતિ મળી રહી નથી. ત્યારબાદ લગભગ 90 મિનિટ પછી પોલીસ તરફથી પરિવારને જાણ કરવામાં આવી કે પાલિકા કુંજ વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો છે, જેની ઓળખ બાદ તે આકૃતિ હોવાનું સામે આવ્યું.
લગ્નને થયા હતા માત્ર અઢી મહિના
પોલીસના જણાવ્યા મુજબ, આકૃતિ દક્ષિણ દિલ્હીના પુષ્પ વિહાર વિસ્તારમાં રહેતી હતી અને છતરપુર સ્થિત એક ખાનગી કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. તેના લગ્નને અંદાજે 2.5 મહિના જ થયા હતા. પરિવારે આરોપ લગાવ્યો છે કે લગ્ન પછીથી જ દહેજને લઈને તેને પરેશાન કરવામાં આવતી હતી. પરિવારના જણાવ્યા મુજબ, પતિ દ્વારા તેની સાથે મારપીટ પણ કરવામાં આવતી હતી. આ કેસમાં પરિવાર પતિ અને સાસરિયાઓ સામે દહેજ માટે ત્રાસ અને હત્યાના આરોપ લગાવી રહ્યો છે.
લવ-કમ-અરેન્જ મેરેજ હોવાનો દાવો
પરિવારના જણાવ્યા મુજબ, આકૃતિની ઓળખ પહેલા તેના પતિની બહેન સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા વધી અને પછી લગ્ન થયા હતા. પરિવારનું કહેવું છે કે આ સંબંધ લવ-કમ-અરેન્જ મેરેજ હતો. હવે પરિવારનું કહેવું છે કે આ સમગ્ર ઘટના શંકાસ્પદ સંજોગોમાં બની છે અને તેની નિષ્પક્ષ તેમજ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.
પોલીસ તપાસ ચાલુ
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આત્મહત્યા કે હત્યાના કારણ અંગે પોલીસ તરફથી કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.





