અમરનાથ ગુફામાં શિવલિંગનું કદ ઘટ્યું, યાત્રાળુઓની ભીડ યથાવત
જમ્મુ-કાશ્મીરની પવિત્ર અમરનાથ ગુફામાં કુદરતી રીતે બનતા શિવલિંગનું કદ હવે નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. યાત્રા શરૂ થતાં પહેલાં અને પ્રથમ પૂજાના સમયે શિવલિંગ વધુ ઊંચું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાન અને કુદરતી પરિસ્થિતિઓના કારણે તેનું કદ ઝડપથી ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. અમરનાથ યાત્રા 3 Julyથી શરૂ થઈ છે અને અત્યાર સુધીના પ્રથમ 3 દિવસમાં 56,000થી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. આ સંખ્યા ગયા વર્ષની સરખામણીએ લગભગ 18% વધુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. વર્ષ 2025માં યાત્રાના પ્રથમ ત્રણ દિવસમાં 47,972 યાત્રાળુઓએ દર્શન કર્યા હતા.
શિવલિંગનું કદ સતત ઘટી રહ્યું છે
23 Mayના રોજ જાહેર થયેલી તસવીરોમાં શિવલિંગની ઊંચાઈ અંદાજે 7 ફૂટ જેટલી જોવા મળી હતી. ત્યારબાદ 29 Juneના રોજ પ્રથમ પૂજાના સમયે પણ તેનું કદ 5 ફૂટથી વધુ હતું. હવે સામે આવેલી તાજેતરની તસવીરોમાં શિવલિંગનું કદ નોંધપાત્ર રીતે ઘટેલું જોવા મળે છે. વિવિધ મીડિયા અહેવાલો મુજબ હાલમાં શિવલિંગ લગભગ 1 ફૂટ જેટલું દેખાઈ રહ્યું છે. જોકે, અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા તેની સત્તાવાર ઊંચાઈ જાહેર કરવામાં આવી નથી. દર વર્ષે શિવલિંગનું કદ હવામાન અને કુદરતી પરિસ્થિતિઓના કારણે વધતું-ઘટતું રહે છે.
બંને માર્ગોથી યાત્રા સતત ચાલુ
અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ 48 કિમી લાંબા પરંપરાગત પહેલગામ માર્ગ અને 14 કિમી લાંબા પરંતુ વધુ કઠિન બાલટાલ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. બંને માર્ગો પરથી દરરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ગુફા સુધી પહોંચી રહ્યા છે. આ વર્ષની યાત્રા કુલ 57 દિવસ ચાલશે અને તેનો સમાપન 28 August, રક્ષાબંધનના દિવસે થશે.
રજીસ્ટ્રેશન વગરના યાત્રીઓને રાહ જોવાની અપીલ
જમ્મુ-કાશ્મીર પ્રશાસને જણાવ્યું છે કે 9 July સુધીના તમામ રજીસ્ટ્રેશન સ્લોટ ભરાઈ ગયા છે. તેથી જે યાત્રાળુઓએ અગાઉથી નોંધણી કરાવી નથી, તેમણે થોડા દિવસ રાહ જોવી જોઈએ. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે રજીસ્ટ્રેશન વગર કોઈ યાત્રી પહેલગામ અથવા બાલટાલ માર્ગ પરથી આગળ વધવાનો પ્રયાસ કરશે તો તેને ચેકપોસ્ટ પર રોકવામાં આવશે. ફક્ત માન્ય રજીસ્ટ્રેશન ધરાવતા યાત્રીઓને જ આગળ જવાની મંજૂરી આપવામાં આવી રહી છે.
બેઝ કેમ્પમાં સાપ કરડવાથી શ્રદ્ધાળુનું મોત
યાત્રા દરમિયાન એક દુઃખદ ઘટના પણ સામે આવી છે. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પમાં ઉત્તર પ્રદેશના રહેવાસી અમિત કુમારને વહેલી સવારે સાપ કરડ્યો હતો. તેમને તાત્કાલિક સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
યાત્રા માટે સુરક્ષા અને વ્યવસ્થા સખ્ત
યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો અને સ્થાનિક પ્રશાસન દ્વારા બંને માર્ગો પર કડક સુરક્ષા અને આરોગ્ય સુવિધાઓ ગોઠવવામાં આવી છે. પ્રશાસન યાત્રાળુઓને નોંધણી, હવામાનની માહિતી અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની સતત અપીલ કરી રહ્યું છે.





