Commercial LPG New Rules: જો તમે દિલ્હીમાં રહો છો અને હોટલ, રેસ્ટોરન્ટ અથવા કોઈ ફેક્ટરી ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. રાજધાનીમાં કોમર્શિયલ એલપીજી (LPG) સિલિન્ડરના વપરાશને લઈને સરકારે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ડિલિવરી માત્ર એવા જ ગ્રાહકોને આપવામાં આવશે, જેઓ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) માટે અરજી કરશે. દિલ્હી સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (OMC) મળીને આ નવો નિર્ણય લીધો છે.
નવા નિયમો અનુસાર, તમામ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ વપરાશકર્તાઓએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય રહેશે.
કનેક્શન માટે અરજી કરવી ફરજિયાત
નવા નિયમ મુજબ, જે વિસ્તારોમાં PNG પાઇપલાઇન ઉપલબ્ધ છે, ત્યાં ગ્રાહકોએ કનેક્શન માટે અરજી કરવી જ પડશે. જે વિસ્તારોમાં હજુ સુધી પાઇપલાઇન પહોંચી નથી, ત્યાં દુકાનદારો અને માલિકોએ એક ઔપચારિક 'વચન પત્ર' (Undertaking) આપવું પડશે કે જેવું તેમના વિસ્તારમાં પાઇપલાઇનનું નેટવર્ક આવશે, તેઓ તરત જ PNG પર સ્વિચ કરી લેશે.
શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય?
વૈશ્વિક તણાવ અને અન્ય આંતરરાષ્ટ્રીય કારણોસર એલપીજીના પુરવઠા પર અસર પડી છે. ભારત પોતાની એલપીજી જરૂરિયાતો માટે મોટાભાગે અખાતી દેશો પર નિર્ભર છે, જ્યાં હાલ અસ્થિરતાનો માહોલ છે. તેની સરખામણીમાં, PNG (નેચરલ ગેસ) માટે ભારતના પાસે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને રશિયા જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે સરકાર એલપીજીની અછત ઘટાડવા માટે PNG ને પ્રોત્સાહન આપી રહી છે.
આ પણ વાંચો: ઈન્ક્રિમેન્ટ પર રોક, એમ્પ્લોય સ્ટોક ઑપ્શન પણ રદ : જાણો કેમ HDFC બેંકે 12 અધિકારીઓ સામે કરી કડક કાર્યવાહી
સામાન્ય માણસ અને સરકારને શું ફાયદો થશે?
PNG માં બુકિંગ કે રિફિલિંગની રાહ જોવી પડતી નથી, તે પાઇપ દ્વારા 24 કલાક ઉપલબ્ધ રહે છે.
એલપીજીની સરખામણીમાં PNG નું બિલ ઓછું આવે છે, જેનાથી વેપારીઓનો ખર્ચ ઘટશે.
સરકારને ઉજ્જવલા અને ઘરેલુ ગેસ પર મોટી સબસિડી આપવી પડે છે, જ્યારે PNG પર આવી કોઈ સબસિડી નથી. આનાથી સરકારી તિજોરી પરનો બોજ ઓછો થશે.
સિલિન્ડરને ટ્રક અને ડેપો દ્વારા મોકલવાને બદલે પાઇપલાઇનથી ગેસ પહોંચાડવો વધુ સુરક્ષિત અને સરળ છે.
નોંધનીય છે કે, 1 એપ્રિલથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ફરીથી વધારો થયો છે. આવી સ્થિતિમાં, સરકારે PNG કનેક્શન માટેના નિયમો ખૂબ જ સરળ બનાવી દીધા છે જેથી લોકો સરળતાથી તેના પર શિફ્ટ થઈ શકે. હવે કનેક્શન માટે લાગતી જંગી ફી અને કાગળની જટિલ પ્રક્રિયાઓને પણ દૂર કરવામાં આવી છે.





