Home National Delhi Cjp Protest Jantar Mantar Crpf Deployment Metro Stations Closed

દિલ્હીમાં CJPના પ્રદર્શનને લઈને હાઇ એલર્ટ : 16 મેટ્રો સ્ટેશન બંધ, બંગાળથી 2 હજાર CRPF જવાનો તૈનાત; સરકાર ફરી વાતચીત માટે તૈયાર

Delhi CJP Protest
Image Credit: @WarFlash_2630/x
Published by: Nirali Gohil
Last Updated: Jul 22, 2026, 07:13 AM IST

Delhi CJP Protest: દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દેવામાં આવી છે. પ્રદર્શનનો આજે 33મો દિવસ છે અને જંતર-મંતર પર હજારો લોકો ફરી એકવાર એકઠા થતાં પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વધતી ભીડ અને સંભવિત કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીના 16 મેટ્રો સ્ટેશન અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી કોકરોચ જનતા પાર્ટી સાથે ફરી એકવાર વાતચીતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ તેની પુષ્ટિ કરતાં જણાવ્યું કે સરકાર તરફથી ચર્ચા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે અંતિમ નિર્ણય પાર્ટીની કોર કમિટી સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે. બીજી તરફ, સંસદ માર્ચ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી, સોનમ વાંગચુકના ઉપવાસ અને NEET મુદ્દે ચાલી રહેલા વિરોધને કારણે રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે.

દિલ્હીમાં સુરક્ષા સઘન, 16 મેટ્રો સ્ટેશન બંધ

જંતર-મંતર અને સંસદ વિસ્તારની આસપાસ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ભેગા થતાં દિલ્હી પોલીસે સુરક્ષા વધારી દીધી છે. સાવચેતીના ભાગરૂપે રાજધાનીના 16 મેટ્રો સ્ટેશનોને અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યા છે જેથી ભીડ નિયંત્રિત કરી શકાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સુરક્ષા એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Image

બંગાળથી 20 CRPF કંપનીઓ દિલ્હી મોકલાઈ

ગૃહ મંત્રાલયના નિર્દેશ બાદ પશ્ચિમ બંગાળમાંથી CRPFની 20 વધારાની કંપનીઓને દિલ્હી મોકલવામાં આવી રહી છે. એક કંપનીમાં અંદાજે 100 જવાનો હોય છે, એટલે કે લગભગ 2,000 જવાનોને એરલિફ્ટ કરીને રાજધાનીમાં લાવવામાં આવી રહ્યા છે. આ જવાનોને સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સુરક્ષા જાળવવા તેમજ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તૈનાત કરવામાં આવશે. અગાઉથી પણ CRPF અને RAFની અનેક કંપનીઓ દિલ્હીમાં સુરક્ષા માટે કાર્યરત છે.

આ પણ વાંચો: 'અમારી પાસે Video જોવાનો સમય નથી...' : પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટનો ઇનકાર

સરકારે ફરી ચર્ચાનો હાથ લંબાવ્યો

CJPના પ્રવક્તા આશુતોષ રાંકાના જણાવ્યા મુજબ સરકારે બીજી વખત ચર્ચા માટે પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે પાર્ટીની કોર ટીમ સાથે ચર્ચા કર્યા બાદ જ સરકારના આમંત્રણ અંગે નિર્ણય લેવામાં આવશે. રાંકાએ એવો પણ આક્ષેપ કર્યો કે, અગાઉની બેઠક દરમિયાન સરકારના પ્રતિનિધિઓએ તેમને કલાકો સુધી રાહ જોવડાવી હતી અને ફોનનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં આવી નહોતી.

Image

CJPની ત્રણ મુખ્ય માંગણીઓ

પાર્ટીનું કહેવું છે કે સરકાર સાથેની અગાઉની બેઠકમાં ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને હોસ્પિટલમાંથી મુક્ત કરવાની, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અને NEET સંબંધિત ઘટનામાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારને વળતર આપવાની માંગ સામેલ છે. પાર્ટીનું કહેવું છે કે, જ્યાં સુધી આ મુદ્દાઓ પર સ્પષ્ટ નિર્ણય નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

સંસદ માર્ચ બાદ પોલીસની કાર્યવાહી તેજ

20 જુલાઈના સંસદ માર્ચ દરમિયાન થયેલી અથડામણ બાદ દિલ્હી પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 10 FIR નોંધાવી છે. પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓ પર RAFના જવાનો પર હુમલો, પથ્થરમારો, સરકારી મિલકતમાં તોડફોડ અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવાના આરોપ લગાવ્યા છે. પોલીસનું કહેવું છે કે, વાયરલ વીડિયોના આધારે પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

આ પણ વાંચો: NEET વિવાદ પર સંસદમાં વિરોધનો બીજો તબક્કો! : કાળા કપડાંમાં સંસદ ભવન પહોંચ્યા વિરોધ પક્ષના સાંસદો, રાહુલ-પ્રિયંકા-અખિલેશે સંભાળી વિરોધની આગેવાની

સોનમ વાંગચુકનો ઉપવાસ ચર્ચાના કેન્દ્રમાં

સામાજિક કાર્યકર સોનમ વાંગચુક લાંબા સમયથી ઉપવાસ પર છે અને હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ બાદ તેમને સફદરજંગ હોસ્પિટલમાંથી મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મંગળવારે મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહે હોસ્પિટલમાં જઈને તેમની મુલાકાત લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

હાઈકોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી

દિલ્હી હાઈકોર્ટ આજે જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી જનહિત અરજી (PIL) પર સુનાવણી કરશે. અરજીમાં પોલીસ કાર્યવાહી અંગે સ્વતંત્ર તપાસ કરાવવાની, તમામ પુરાવા સુરક્ષિત રાખવાની અને શાંતિપૂર્ણ વિરોધના બંધારણીય અધિકારની સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

રાજકીય માહોલ વધુ ગરમાયો

વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે NEET મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરતાં આરોપ લગાવ્યો કે સરકાર વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે. દિલ્હીમાં સતત વધી રહેલા વિરોધ, વધારાયેલા સુરક્ષા બંદોબસ્ત, સરકાર અને CJP વચ્ચેની સંભવિત ચર્ચા તથા હાઈકોર્ટમાં થનારી સુનાવણીને કારણે આગામી દિવસોમાં આ સમગ્ર મામલો વધુ મહત્વનો બનવાની શક્યતા છે. સમગ્ર દેશની નજર હવે સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે શું સમાધાન થાય છે તેના પર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now