દુનિયાના કેટલાક દેશોમાં ઈબોલા વાયરસ (Ebola Virus) ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે. આ જીવલેણ વાયરસ ભારતમાં ન પ્રવેશે તે માટે દિલ્હી એરપોર્ટ પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક કડક હેલ્થ એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે.
હાઈ-રિસ્ક દેશોમાંથી આવતા મુસાફરો પર કડક નજર
સ્વાસ્થ્ય મંત્રાલયના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS) દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા મુજબ, ઈબોલા પ્રભાવિત દેશો જેવા કે ડીઆર કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનથી આવતા અથવા ત્યાંથી પસાર થતા મુસાફરોની એરપોર્ટ પર કડક સ્ક્રીનિંગ કરવામાં આવશે. જોકે, રાહતની વાત એ છે કે ભારતમાં હજુ સુધી ઈબોલાનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.
ઈમિગ્રેશન પહેલા હેલ્થ ડેસ્કને આપવી પડશે માહિતી
નવી એડવાઇઝરી અનુસાર, જો કોઈ મુસાફર ઈબોલા સંક્રમિત દર્દી અથવા શંકાસ્પદ વ્યક્તિના લોહી કે શારીરિક પ્રવાહી (Body Fluids) ના સીધા સંપર્કમાં આવ્યો હોય, તો તેણે ઈમિગ્રેશન ક્લિયરન્સ મેળવતા પહેલા જ દિલ્હી એરપોર્ટ પર તૈનાત હેલ્થ ઓફિસર અથવા હેલ્થ ડેસ્કને ફરજિયાતપણે જાણ કરવાની રહેશે.
આ લક્ષણોને ભૂલથી પણ નજરઅંદાજ ન કરો
સરકારે મુસાફરોને અપીલ કરી છે કે જો તેમનામાં નીચે મુજબના કોઈ પણ લક્ષણો દેખાય તો તેને સામાન્ય ન ગણે:
તાવ, અશક્તિ અથવા ભારે થાક લાગવો
માથાનો દુખાવો અને સ્નાયુઓમાં અસહ્ય દુખાવો
ઉલ્ટી, ઝાડા અથવા ગળામાં ખરાશ થવી
શરીરમાંથી કોઈ પણ જગ્યાએ અસ્પષ્ટ રક્તસ્રાવ (Bleeding) થવો
૨૧ દિવસ સુધી ટ્રાવેલ હિસ્ટ્રી જણાવવી જરૂરી
એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (APHO) ના જણાવ્યા અનુસાર, હાઈ-રિસ્ક દેશોમાંથી પરત ફર્યાના 21 દિવસની અંદર જો કોઈ મુસાફરમાં ઈબોલાના લક્ષણો દેખાય, તો તેણે તાત્કાલિક તબીબી સારવાર લેવી જોઈએ. આ સાથે જ ડોક્ટરો અને સ્વાસ્થ્ય અધિકારીઓને પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી વિશે સાચી માહિતી આપવી અનિવાર્ય રહેશે. આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમો (IHR) અંતર્ગત તમામ મુસાફરોને એરપોર્ટ પર તપાસમાં સહયોગ આપવા જણાવાયું છે.





