Iran America War: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતાના સૈન્ય સલાહકાર મોહસેન રેઝાઈએ અમેરિકાને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે જો આગામી બે-ત્રણ દિવસ સુધી ઈરાન પર હુમલા ચાલુ રહેશે તો યુદ્ધ વધુ આક્રમક અને વિનાશક તબક્કામાં પ્રવેશ કરશે. તેમના નિવેદન બાદ સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર યુદ્ધના જોખમને લઈને ચિંતા વધી છે.
મોહસેન રેઝાઈએ શું કહ્યું?
ઈરાનના સરકારી ટેલિવિઝન IRIBને આપેલા ઇન્ટરવ્યૂમાં મોહસેન રેઝાઈએ કહ્યું કે હવે 'યુદ્ધ અને વાટાઘાટો સાથે-સાથે' ચાલતી નીતિનો અંત આવી ગયો છે. તેમણે દાવો કર્યો કે અત્યાર સુધી ઈરાને સંયમ દાખવ્યો હતો જેથી સંઘર્ષ સમગ્ર પશ્ચિમ એશિયામાં ન ફેલાય. પરંતુ જો અમેરિકા હુમલા ચાલુ રાખશે તો ઈરાનની સશસ્ત્ર દળો માત્ર જવાબી કાર્યવાહી સુધી મર્યાદિત નહીં રહે. રેઝાઈના જણાવ્યા અનુસાર, અમેરિકાના સૈન્ય મથકો અને દળો હવે કોઈપણ રાજકીય સીમાની અંદર સુરક્ષિત નહીં રહે.
અમેરિકા પર લગાવ્યો ગંભીર આરોપ
ઈરાનના સૈન્ય સલાહકારે અમેરિકા પર આરોપ લગાવ્યો કે તેણે સંઘર્ષને વધુ વિસ્તાર આપ્યો છે અને પરિસ્થિતિનું ખોટું મૂલ્યાંકન કર્યું છે. તેમણે કહ્યું કે ઈરાને અત્યાર સુધી યુદ્ધને પ્રાદેશિક અથવા આંતરરાષ્ટ્રીય સંકટમાં ફેરવાતું અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમેરિકાની કાર્યવાહીથી તણાવ સતત વધી રહ્યો છે.
વધુ મિસાઇલ અને ડ્રોન હુમલાની ચેતવણી
મોહસેન રેઝાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો હુમલા ચાલુ રહેશે તો ઈરાન પોતાના મિસાઇલ અને ડ્રોન હુમલાની તીવ્રતા વધારશે. તેમણે અમેરિકાને ચેતવણી આપતાં કહ્યું કે આગામી દિવસોમાં વધુ મોટા પાયે હુમલાઓ માટે તૈયાર રહેવું પડશે. સાથે જ તેમણે એવી પણ ચેતવણી આપી કે જો અમેરિકા જમીની સૈન્ય કાર્યવાહી કરશે તો ઈરાન પણ પોતાની જમીની સેનાને મેદાનમાં ઉતારવા માટે તૈયાર છે.
પાડોશી દેશોને પણ કરી અપીલ
ઈરાને કૂવૈત, જોર્ડન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સહિતના પશ્ચિમ એશિયાના દેશોના લોકોને પણ અપીલ કરી છે કે તેઓ તણાવ વધુ ન વધે તે માટે પ્રયાસ કરે. ઈરાનનું માનવું છે કે જો હાલની સ્થિતિ વધુ ગંભીર બનશે તો તેનો પ્રભાવ સમગ્ર પ્રદેશ પર પડી શકે છે.
હોર્મુઝ જળમાર્ગમાં જહાજને નિશાન બનાવ્યાનો દાવો
આ દરમિયાન ઈરાનની અર્ધસરકારી સમાચાર એજન્સી તસનીમના અહેવાલ મુજબ ઈરાની સેનાએ હોર્મુઝ જળમાર્ગમાં એક જહાજને નિશાન બનાવ્યું હતું. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે થાઈલેન્ડના ધ્વજવાળું જહાજ જરૂરી મંજૂરી વિના જળમાર્ગમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને ચેતવણી છતાં આગળ વધતાં કાર્યવાહી કરવામાં આવી.
અમેરિકા-ઈરાન વચ્ચે કેમ વધ્યો તણાવ?
તાજેતરના દિવસોમાં અમેરિકાએ દાવો કર્યો છે કે હોર્મુઝ જળમાર્ગમાં વેપારી જહાજોની સુરક્ષા માટે ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાના હેતુથી ઈરાનના દક્ષિણ વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા હતા.
બીજી તરફ ઈરાને આ હુમલાઓના જવાબમાં અમેરિકાના સૈન્ય મથકો અને સુવિધાઓને નિશાન બનાવી મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કર્યા હોવાનો દાવો કર્યો છે. આ સતત વધી રહેલી કાર્યવાહીથી સમગ્ર પશ્ચિમ એશિયામાં સુરક્ષાની સ્થિતિ વધુ નાજુક બની રહી છે.
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીયો માટે મોટો ઝટકો? : ટ્રમ્પના નવા પ્રસ્તાવથી 1.5 લાખ ટ્રક ડ્રાઈવરોમાં ચિંતા
શું સમગ્ર પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફેલાઈ શકે?
નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ જો વધુ વધશે તો તેની અસર માત્ર બંને દેશો પૂરતી મર્યાદિત નહીં રહે. હોર્મુઝ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંનો એક છે. અહીં કોઈપણ પ્રકારની સૈન્ય અથડામણ વૈશ્વિક તેલ પુરવઠા, આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર કરી શકે છે. જોકે હાલ બંને પક્ષોની કાર્યવાહી અને નિવેદનો વચ્ચે તણાવ યથાવત છે, પરંતુ યુદ્ધ વધુ વ્યાપક બનશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.
સમગ્ર વિશ્વની નજર હાલ આ પરિસ્થિતિ પર ટકેલી
અમેરિકા અને ઈરાન વચ્ચેનો વધતો તણાવ માત્ર પશ્ચિમ એશિયા પૂરતો મર્યાદિત નથી. આ સંઘર્ષ વૈશ્વિક ઊર્જા બજાર, આંતરરાષ્ટ્રીય વેપાર અને ભૂરાજકીય સંતુલન પર પણ અસર કરી શકે છે. તેથી સમગ્ર વિશ્વની નજર હાલ આ પરિસ્થિતિ પર ટકેલી છે.





