logo-img
Decision To Exclude Arjun And Gabbar Thakor From The Show

અર્જુન અને ગબ્બર ઠાકોરને નાત બહાર મૂકવાનો નિર્ણય : આ સમાજનો દ્રોહ છે અને એ માટે તેઓ દંડને પાત્ર છે: ગેનીબેન ઠાકોર

અર્જુન અને ગબ્બર ઠાકોરને નાત બહાર મૂકવાનો નિર્ણય
Published by: Offbeat Team
| Last Updated: Feb 04, 2026, 12:12 PM IST

બનાસકાંઠા જિલ્લાના જાબડીયા ગામે ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સમાજના બંધારણના ભંગ મુદ્દે ચાલી રહેલા વિવાદ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરે વીડિયો કોલના માધ્યમથી સંબોધન કર્યું અને અર્જુન ઠાકોર તથા ગબ્બર ઠાકોર સામે કડક શબ્દોમાં પોતાની વાત રજૂ કરી હતી. સાંસદ ગેનીબેને જણાવ્યું હતું કે, “બંધારણનો ભંગ કરીને અર્જુન અને ગબ્બર એવું સમજે છે કે ત્રણ જિલ્લાના ઠાકોર સમાજે આ બંધારણ બનાવ્યું છે, પરંતુ સમાજ દ્વારા ઘડાયેલા નિયમોનું પાલન કરવું દરેકની ફરજ છે.”

”આ સમાજનો દ્રોહ છે અને એ માટે તેઓ દંડને પાત્ર છે”

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અર્જુન અને ગબ્બરને સમાજ બહાર મૂકવામાં આવશે, તેમની સાથે કોઈ વ્યવહાર કરવામાં આવશે નહીં અને સમાજના આગેવાનો જે નિર્ણય લેશે તે મુજબ અમલ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સમાજે ખૂબ સારું અને વિચારપૂર્વકનું બંધારણ બનાવ્યું હતું, જેમાં ડીજેનો ઉપયોગ ન કરવાનું સ્પષ્ટ રીતે નક્કી કરાયું હતું. અન્ય સમાજોએ પણ આ નિયમોનું અનુકરણ કર્યું હોવા છતાં અર્જુન અને ગબ્બરે નિયમો તોડ્યા હોવાનું તેમણે જણાવ્યું. ગેનીબેને કહ્યું કે, “ગબ્બર અને અર્જુને માત્ર વ્યક્તિગત રીતે નહીં પરંતુ સમગ્ર સમાજને પણ નુકસાન પહોંચાડ્યું છે. આ સમાજનો દ્રોહ છે અને એ માટે તેઓ દંડને પાત્ર છે.”

”અર્જુન અને ગબ્બરનો બહિષ્કાર કરવો જોઈએ”

જાબડીયા ગામના ગ્રામજનોને સંબોધતા ગેનીબેને જણાવ્યું કે, “તમારા ગામમાંથી આ ઘટના બની છે, તેથી અર્જુન અને ગબ્બરનો બહિષ્કાર કરવો જોઈએ” તેમણે ઉમેર્યું કે આવા બનાવોથી બહેન-દીકરીઓની સુરક્ષા, વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્નો ઉભા થાય છે અને આ તમામ બુરાઈઓ દૂર કરવા માટે સમાજના બંધારણનું કડક પાલન જરૂરી છે. ગેનીબેને વધુમાં કહ્યું કે, સમાજના બંધારણનો દુરુપયોગ કરાયો હોવાથી આ માફીને લાયક નથી. તેમણે સૂચન કર્યું કે અર્જુન અને ગબ્બરને સમાજ બહાર મૂકીને એક વર્ષ બાદ સમાજના અભિપ્રાય આધારે ફરી વિચારણા કરવામાં આવશે.

સમાજના આગેવાનોને સંબોધતા ગેનીબેને જણાવ્યું કે, “નિર્ણય એવો કરજો કે સમાજ અને આખી દુનિયા તેને યાદ રાખે” અંતે બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને નાત બહાર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બની ગયો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now