Home Gujarat Decision To Declare Bakrol Jail In Anand District As District Jail

હવે ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા બનશે વધુ મજબૂત : ગુજરાતના આ જિલ્લામાં બની રહી છે નવી જેલ, સરકારે 'જિલ્લા જેલ' જાહેર કરવાનો લીધો નિર્ણય

હવે ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા બનશે વધુ મજબૂત
Published by: OBS Bureau
Last Updated: Mar 04, 2025, 02:15 PM IST

Anand News: આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ૩૭૦ કેદી ક્ષમતા સાથે રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલી નવી જેલને આણંદ જિલ્લા જેલ તરીકે ઘોષિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂર કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી માત્ર બાકરોલ તાલુકા જેલ કાર્યરત હતી. હવે બાકરોલ ખાતે ફાળવવામાં આવેલી જમીનમાં ૩૭૦ કેદી ક્ષમતા ધરાવતી નવી જેલ બનાવવામાં આવી રહી છે. જેમાં ૩૩૦ પુરુષ કેદીઓ અને ૪૦ સ્ત્રી કેદીઓ માટે ક્ષમતા સુવિધા ઉપલબ્ધ રહેશે.

જિલ્લા જેલ તરીકે ઘોષિત થવા માટે ઓછામાં ઓછી ૨૪૦ કેદી ક્ષમતા હોવી જરૂરી હોય છે. આ નવી જેલ ૩૭૦ કેદી ક્ષમતા ધરાવતી હોવાથી, તેને જિલ્લા જેલ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ જેલના બાંધકામ માટે રૂ. ૬૪.૨૯ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ જેલનું બાંધકામ પૂર્ણ થવાની શક્યતા છે. આ નિર્ણય દ્વારા આણંદ જિલ્લામાં જેલ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે.

જેલમાં ઓવરક્રાઉડિંગની સમસ્યાનું નિવારણ:
જેલમાં ઓવરક્રાઉડિંગની સમસ્યાને નિવારવા માટે નવી જેલના બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં આ નવી જેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આણંદમાં જિલ્લા કક્ષાની જેલની સુવિધા: હાલમાં આણંદ તાલુકા સબજેલ મામલતદારના હસ્તક કાર્યરત છે. નવી જિલ્લા જેલ શરૂ થવાથી આણંદમાં જિલ્લા કક્ષાની જેલ ઉપલબ્ધ થશે. આનાથી અત્યારે નડિયાદ જિલ્લા જેલમાં રાખવામાં આવતા આણંદ જિલ્લાના આરોપીઓને આણંદ જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરી શકાશે, જેના કારણે નડિયાદ જિલ્લા જેલની ઓવરક્રાઉડિંગની સમસ્યા પણ હળવી થશે.

કેદીઓના પરિવારજનોને સુવિધા: આણંદ જિલ્લા જેલમાં આણંદ જિલ્લાના સ્થાનિક કોર્ટોના આરોપીઓને રાખવામાં આવશે. આનાથી કેદીઓના પરિવારજનો તેમની સાથે વધુ સરળતાથી મુલાકાત કરી શકશે અને પોતાના બાળકો સાથે પણ સંપર્ક જાળવી શકશે. આનાથી પરિવારજનોને આર્થિક રીતે ફાયદો થશે તેમજ બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવું પણ સરળ બનશે.

ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ, ખર્ચમાં બચત: આણંદ જિલ્લા જેલમાં સ્થાનિક આરોપીઓને રાખવામાં આવશે, જેના કારણે સંબંધિત કોર્ટોમાં તેમને નિયમિત રજૂ કરી શકાશે. આનાથી કેસોનો સમયસર કે વહેલી તકે નિકાલ થઈ શકશે. સાથે જ, પોલીસ જાપ્તા અને પોલીસ વાહનોના ખર્ચમાં ઘટાડો થશે, જે સરકારના આર્થિક બોજને પણ હળવો કરશે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now