AAP Gujarat: ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ સૌરાષ્ટ્રની વાત આવે ત્યારે ગરમાવો હોવો સ્વાભાવિક છે, પરંતુ અત્યારે જે સમાચાર સામે આવ્યા છે તેણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવા જ સમીકરણો રચ્યા છે. 2024ની લોકસભા ચૂંટણી વખતે ભાજપના દિગ્ગજ નેતા પરષોત્તમ રૂપાલા સામે બાંયો ચઢાવનાર અને ક્ષત્રિય આંદોલનનો સૌથી મજબૂત મહિલા ચહેરો ગણાતા પદ્મિનીબા વાળાએ હવે વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) નો કેસરિયો ખેસ ઉતારી ‘ઝાડુ’ પકડ્યું છે. રવિવારે રાજકોટમાં એક ભવ્ય કાર્યક્રમમાં AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પદ્મિનીબા અને તેમના પતિ ગિરિરાજસિંહ વાળાને પાર્ટીમાં આવકાર્યા હતા. આ ઘટનાક્રમે ભાજપની છાવણીમાં ચિંતા અને ‘આપ’ના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરી દીધો છે.
આંદોલનની આગથી સક્રિય રાજકારણના આંગણ સુધી
પદ્મિનીબા વાળાનું નામ આજે ગુજરાતના ઘરેઘરે જાણીતું છે, અને તેની પાછળનું કારણ છે તેમનો લડાયક સ્વભાવ. ગયા વર્ષે જ્યારે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ એક સભામાં ક્ષત્રિય સમાજને લઈને કરેલી ટિપ્પણીથી વિવાદ વકર્યો, ત્યારે રાજકોટમાં આ વિરોધનું કેન્દ્રબિંદુ પદ્મિનીબા રહ્યા હતા. તેમણે રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે સળંગ ૧૪ દિવસ સુધી ભૂખ હડતાળ કરીને સરકારને હચમચાવી દીધી હતી. આ માત્ર આંદોલન નહોતું, આત્મસન્માનની લડાઈ હતી, જેમાં તેમણે ‘જૌહર’ (આત્મવિલોપન) કરવાની પણ તૈયારી દાખવી હતી. આ જ મક્કમતાને કારણે તેઓ ક્ષત્રિય સમાજમાં એક લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. પરંતુ વાત અહીં અટકતી નથી. પદ્મિનીબા માત્ર આંદોલન પૂરતા મર્યાદિત નથી.
તેઓ છેલ્લા 10 વર્ષથી ‘રાજ શક્તિ મહિલા મંડળ’ના અધ્યક્ષ તરીકે સામાજિક સેવામાં જોડાયેલા છે અને ‘ગુજરાત રાજપૂત મહિલા કરણી સેના’ના પ્રમુખ તરીકે પણ બહેનોનું નેતૃત્વ કરી રહ્યા છે. મૂળ ગધેથડ પાસેના તણસવા ગામના વતની પદ્મિનીબા છેલ્લા 15 વર્ષથી રાજકોટમાં રહીને ગરીબ અને મધ્યમ વર્ગના પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે, જેનો સીધો ફાયદો હવે આમ આદમી પાર્ટીને મળી શકે છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી પહેલા રાજકોટમાં AAP ની મુશ્કેલી વધી : 2 નેતાઓ સામે પોલીસ ફરિયાદ; જાણો શું છે વિવાદ?
ભાજપ સાથેનો નાતો અને વિખવાદની કહાની
રાજકારણના ચોકઠા તપાસીએ તો એક ચોંકાવનારી હકીકત સામે આવે છે. પદ્મિનીબાએ ફેબ્રુઆરી 2024માં જ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. તો પછી એવું તે શું થયું કે ગણતરીના મહિનાઓમાં જ તેમણે છેડો ફાડવો પડ્યો? વિશ્લેષણ કરીએ તો સમજાય છે કે, રૂપાલા વિવાદ વખતે પક્ષે સમાજની લાગણી દુભાતા જે વલણ અપનાવ્યું, તે પદ્મિનીબાને અસહ્ય લાગ્યું હતું. આજે ‘આપ’માં જોડાતી વખતે તેમણે હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે, "અન્ય પક્ષો માત્ર ચૂંટણી સમયે વચનો આપે છે, પણ આમ આદમી પાર્ટી કામમાં માને છે. હું વર્ષોથી બહેનો-દીકરીઓ માટે લડત ચલાવું છું અને મને AAPની વિચારધારામાં સામાન્ય માણસનો અવાજ દેખાયો છે." ખાસ કરીને પંજાબ સરકારની મહિલાલક્ષી યોજનાઓથી પ્રભાવિત થઈને તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
શું 2026માં ભાજપ માટે મુશ્કેલી વધશે?
અહીં પ્રશ્ન ઊભો થાય છે કે, શું પદ્મિનીબાના આવવાથી આવનારી ચૂંટણીઓમાં કોઈ મોટો ફેરફાર થશે? એપ્રિલ 2026માં ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ અને 84 નગરપાલિકાઓ સહિત જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે. રાજકોટમાં ક્ષત્રિય મતોનું પ્રભુત્વ નિર્ણાયક હોય છે. રૂપાલા વિવાદથી જે આક્રોશ જન્મો હતો, તે હજુ પણ શાંત થયો નથી. જો પદ્મિનીબા સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતરે તો ભાજપના પરંપરાગત વોટબેંકમાં ગાબડું પડવાની પૂરેપૂરી સંભાવના છે. પદ્મિનીબાના પતિ ગિરિરાજસિંહ વાળા બિઝનેસમેન છે અને હવે તેઓ પણ સક્રિય રાજકારણમાં ખભેખભા મિલાવીને ચાલશે. જોકે, પદ્મિનીબાના જાહેર જીવનમાં કેટલાક વિવાદોએ પણ દસ્તક આપી હતી. 2024 અને 2025માં તેમના પર થયેલા કાયદાકીય કેસોને તેમણે હંમેશા ‘રાજકીય ષડયંત્ર’ ગણાવ્યા છે.





