Surat Fake Paneer Case : સુરતમાં અન્નસુરક્ષા અંગેની ગંભીર બેદરકારી સામે પોલીસ દ્વારા પ્રથમવાર કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરભિ ડેરીમાંથી લેવામાં આવેલા પનીરના નમૂના ફેલ થતા ડેરીના માલિક શૈલેષ પટેલ વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધાયો છે. સુરત શહેરમાં ડેરી માલિક વિરુદ્ધ આ પ્રકારનો કેસ નોંધાવાનો આ પહેલો જ બનાવ છે.
754 કિલો પનીર જપ્ત કરાયું હતું
સઘન તપાસ દરમિયાન સુરભિ ડેરીમાં બનાવાતું પનીર ગુણવત્તાહીન અને નકલી હોવાનું બહાર આવતાં 754 કિલો પનીર જપ્ત કરવામાં આવ્યું હતું. શૈલેષ પટેલ સસ્તા ભાવે નકલી પનીર વેચતા હતા, જે જાહેર સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
માલિકે પોતે જ કબૂલાત કરી કે પનીર નકલી હતું
પનીરના નમૂના ફેલ થયા પછી SOG એ કાર્યવાહી હાથ ધરી અને ખટોદરા પોલીસ મથકે શૈલેષ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો. ત્યારબાદ ખટોદરા પોલીસે તેમને ઝડપીને વધુ તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન માલિકે પોતે જ કબૂલાત કરી કે પનીર નકલી હતું. પોલીસે સમગ્ર બનાવનું ડીસીપીની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન પણ કર્યું, જેથી નકલી પનીર બનાવવાની પદ્ધતિ અને ગોટાળાની સંપૂર્ણ વિગત સ્પષ્ટ થઈ શકે.





















