Subhash Bridge dilapidated : અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. ત્યારે બ્રિજોની સલામતી અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે. 2025માં શહેરના 69 રેલવે બ્રિજ અને ફ્લાયઓવરનું નિરીક્ષણ બ્રિજ કન્સલ્ટન્ટ પંકજ એમ. પટેલ અને અન્ય ટેકનિકલ એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શન દરમિયાન ઘણાં બ્રિજોમાં તિરાડો, સ્ટ્રક્ચરલ કમજોરી જેવી સમસ્યાઓ સામે આવી છે.
બ્રિજોની વધી રહેલી સમસ્યા!
ખાસ ચિંતાની વાત એ છે કે 2009માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરેલા ગુરુજી ઓવરબ્રિજ હવે ગંભીર સ્થિતિમાં છે. 2025માં આ બ્રિજ પર રોડ બેસી જવાની ઘટનાઓ જોવા મળી છે અને બહાર સળિયા દેખાતા હોવાની જાણકારી આગળ આવી રહી છે. બીજી તરફ, સુભાષ બ્રિજમાં તિરાડો જોવા મળ્યા બાદ તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો, જેના કારણે ટ્રાફિકને પરીક્ષિતલાલ બ્રિજ તરફ વાળવામાં આવ્યું.
પરીક્ષિતલાલ બ્રિજમાં પણ તિરાડો દેખાઈ
હવે પરીક્ષિતલાલ બ્રિજમાં પણ તિરાડો દેખાવા લાગતા નાગરિકોની ચિંતા બેવડી થઈ છે. સૌથી મોટી ચર્ચા એ છે કે બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ 2025ના ઇન્સ્પેક્શન રિપોર્ટને જાહેર ન કર્યો હોવાનો આક્ષેપ છે, જેના કારણે પારદર્શિતાના પ્રશ્નો વધારે ઊંડા બન્યા છે. AMC તરફથી આ મુદ્દાઓ પર કોઇ સ્પષ્ટ નિવેદન ન આવતા પરિસ્થિતિ વધુ ગૂંચવાયેલી બની છે. સુભાષ બ્રિજ પહેલેથી જ બંધ છે, અને હાલના સંકેતો મુજબ શહેરના અન્ય કેટલીક બ્રિજ પણ જોખમના કારણે બંધ કરવાની સ્થિતીમાં પહોંચી શકે છે. આ તમામ ઘટનાઓને કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા તેમજ જાહેર સુરક્ષાને લઈને ચિંતા સતત વધી રહી છે.






