અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટનગલી ખાતે એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા રસ્તામાં વીજકરંટ લાગતા એક દંપતીનું કરુણ મોત નીપજ્યું છે. રાજન હરજીવનભાઈ સિંઘલ અને તેમની પત્ની અંકિતા રાજનભાઈ સિંઘલ, જે નારોલના રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા હતા, એક્ટિવા (નંબર: GJ-27 DD 0314) પર સવાર થઈને જતા હતા. રસ્તામાં ભરાયેલા વરસાદી પાણીમાં તેઓ પહોંચ્યા અને પાણીમાં વીજ વાયર અથવા ઇલેક્ટ્રિક પૉલમાં વીજ કરંટ લિકેજ થવાથી પાણીમાં વીજકરંટ ફેલાયો હોવાથી તેમનું મોત થયાની સામે આવ્યું છે.
વીજ કરંટ લાગતા બેના મોત
વીજકરંટ લાગતા જ બંને દંપતી એક્ટિવા સાથે પાણીમાં પટકાઈ ગયા. નજીકમાં હાજર કેટલાક લોકોએ આ ઘટના જોઈને તરત જ ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી. રાહત કામગીરી શરૂ કરવા માટે ફાયર વિભાગે સૌપ્રથમ વીજ કંપનીને કોલ કરીને વીજ પુરવઠો બંધ કરાવ્યો, કારણ કે પાણીમાં કરંટ હોવાને કારણે તરત અંદર જઈ બચાવ કામ શરૂ કરી શકાયું ન હતું.
''બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ...''
એક સ્થાનિક લોકોમાંના રાજુભાઈએ જણાવ્યું કે, અમે હિંમત કરીને લાકડાની મદદથી તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કરંટ વધારે થઈ જતા દંપતીએ અમને પણ રોકી દીધા હતા. વીજ પુરવઠો બંધ થયા બાદ ફાયર વિભાગના જવાનોએ મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા અને પોલીસની મદદથી મૃતદેહને PM માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસે તપાસ હાથધરી
આ દુર્ઘટનાનું કારણ નગરપાલિકા તથા તંત્રની બેદરકારી હોવાનો આક્ષેપ કરાયો છે. નારોલ વિસ્તારમાં અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયેલા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્રએ યોગ્ય રીતે શહેરના રોડ અને ડ્રેનેજ વ્યવસ્થાની દેખરેખ રાખી હોત તો આવા ભૂલભુલૈયાં રસ્તાઓમાં જીવલેણ દુર્ઘટનાઓ ટાળી શકાય હોત. હવે નારોલ પોલીસે સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરી છે
મૃતકોના નામ
(1) અંકિતાબેન વા/ઓ રાજનભાઇ હરજીવનભાઇ જાતે સિંગલ, ઉ.વ.27
(2) રાજન સ/ઓ હરજીવનભાઇ જાતે સિંગલ, ઉ.વ.33






