ભરૂચમાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ મોટું અને કડક નિવેદન આપ્યું છે. છોટુ વસાવાએ કહ્યું છે કે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હવે વિકાસ માટે નહીં પરંતુ ફક્ત ખનીજ ચોરી માટે યોજાઈ રહી છે. તેમનું કહેવું છે કે આ ચૂંટણીનો ઉપયોગ કરીને ખનીજ માફિયાઓને ફાયદો પહોંચાડવામાં આવે છે.
'આદિવાસીઓને જાણે ઈરાદાપૂર્વક બેકાર બનાવવામાં આવી રહ્યા છે'
છોટુ વસાવાએ આદિવાસીઓની હાલત અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આદિવાસીઓને જાણે ઈરાદાપૂર્વક બેકાર બનાવવામાં આવી રહ્યા છે અને તેમને રોજગારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ખનીજ ચોરી કરાવવાના કામમાં સરકારી અધિકારીઓ પણ સામેલ થઈ ગયા છે અને અધિકારીઓ તથા ચોરો એકસાથે મળી હફ્તાખોરી કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા
પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના આ નિવેદન બાદ ભરૂચ જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા આવા ગંભીર આરોપો લાગતા હવે આ મુદ્દો ચૂંટણી દરમિયાન મહત્વનો બની શકે છે.




















