ભવનાથ મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજનને લઈ આજે મહત્વપૂર્ણ પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકની અધ્યક્ષતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રી મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સુવિધા, સુરક્ષા અને વ્યવસ્થાને લઈને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં દેશભરના અનેક અગ્રણી સંતો અને મહંતો હાજર રહ્યા છે, જ્યારે જૂનાગઢના અગ્રણી નાગરિકો અને પ્રતિષ્ઠિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ખાસ સમીક્ષા કરવામાં આવશે
આ પરામર્શ બેઠક દરમિયાન મહાશિવરાત્રી મેળાને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ખાસ સમીક્ષા કરવામાં આવશે. મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, ફાયર સેફ્ટી તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે મેળાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
મહાશિવરાત્રી મેળા સંલગ્ન વિશેષ સોંગનું લોન્ચિંગ પણ કરવામાં આવશે
આ બેઠકના મહત્વપૂર્ણ કાર્યક્રમ તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહાશિવરાત્રી મેળા સંલગ્ન વિશેષ સોંગનું લોન્ચિંગ પણ કરવામાં આવશે. આ વિશેષ સોંગ ભવનાથ મહાદેવ અને મહાશિવરાત્રી મેળાની આસ્થાને ઉજાગર કરશે. સમગ્ર બેઠકથી ભવનાથ મહાશિવરાત્રી મેળાના આયોજનને વધુ સુવ્યવસ્થિત અને ભવ્ય બનાવવામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





















