વિધાનસભામાં હાલ ગુજરાત બજેટ સત્ર 2026-27 ચાલી રહ્યું છે. આજે આ બજેટ સત્રનો 10મો દિવસ છે, ત્યારે ગૃહમાં આજે ભારે હંગામો જોવા મળી રહ્યો છે. જે બાદ કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. વસ્તીના પ્રમાણમાં બજેટ માંગ સાથે કોંગ્રેસે હંગામો સર્જ્યો હતો અને બાદમાં વોકઆઉટ કર્યું હતું.
વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસનું વોકઆઉટ
વિધાનસભામાં બજેટ મુદ્દે આજે તીવ્ર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ SC, ST અને OBC સમાજને વસતીના પ્રમાણમાં બજેટ ફાળવવાની માંગ સાથે ગૃહમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા અને અંતે વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે રાજ્ય સરકારની નીતિઓ SC, ST અને OBC સમાજ પ્રત્યે વિરોધી માનસિકતા દર્શાવે છે અને સામાજિક ન્યાયના મુદ્દે સરકાર નિષ્ફળ ગઈ છે.
નિગમમાં છેલ્લા બે વર્ષમાં કેટલું બજેટ ફાળવાયું અને તેમાંમાંથી કેટલું વપરાયું?: વિપક્ષનો સવાલ
કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો કે સામાજિક ન્યાય અધિકારિતા નિગમમાં છેલ્લા બે વર્ષમાં કેટલું બજેટ ફાળવાયું અને તેમાંમાંથી કેટલું વપરાયું? વિપક્ષના નેતાઓએ દાવો કર્યો કે સરકાર દ્વારા ફાળવાતી રકમનો મોટો ભાગ વપરાતો જ નથી. વર્ષ 2024-25 દરમિયાન 76.50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી 28 કરોડ રૂપિયા વપરાયા વગર જ રહી ગયા હોવાનું કોંગ્રેસે જણાવ્યું.
'નિગમને ફાળવાયેલા 22.80 કરોડમાંથી આશરે 40 ટકા રકમ વપરાઈ નથી'
કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, 'અલ્પ સંખ્યક વિકાસ નિગમને ફાળવાયેલા 22.80 કરોડમાંથી આશરે 40 ટકા રકમ વપરાઈ નથી. ઠાકોર કોળી વિકાસ નિગમને ફાળવાયેલા 89 કરોડમાંથી 58 ટકા રકમ ખર્ચાઈ નથી અને ગોપાલક સમાજ માટે ફાળવાયેલા 23.44 કરોડમાંથી લગભગ 50 ટકા રકમ વપરાયા વગર રહી હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો. કોંગ્રેસે સવાલ કર્યો કે જ્યારે કેટલાક અન્ય નિગમોને વધુ રકમ ફાળવવામાં આવે છે, ત્યારે તે કયા આધારે ફાળવાય છે? સરકાર વિધાનસભામાં તેનો સંતોષકારક જવાબ આપતી નથી તેવી પણ ટીકા કરવામાં આવી. કોંગ્રેસે વધુમાં કહ્યું કે, ભાજપના અનેક નેતાઓના વિસ્તારોમાં SC, ST અને OBC સમાજ બહુમતીમાં હોવા છતાં તેઓ સમાજના હકો માટે અવાજ ઉઠાવતા નથી. આ મુદ્દે વિરોધ નોંધાવવા કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.




















