Home Gujarat Congress State President Amit Chavdas Statement On Independence Day

''હું માનું છું કે આ લડાઈ કોઈ કાચા મનના લોકો નહીં લડી શકે'' : સ્વાતંત્ર્ય પર્વ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કેમ આવું બોલ્યા?

''હું માનું છું કે આ લડાઈ કોઈ કાચા મનના લોકો નહીં લડી શકે''
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 07:47 AM IST

આઝાદીના 78 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ધ્વજવંદન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “ગુજરાત એ ગાંધી - સરદારની પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ છે જ્યાથી વર્ષો પહેલા અંગ્રેજોના જોર-જુલમ અને અત્યાચાર અને ગુલામીની સ્થિતી હતી તેની સામે એક મજબુત અવાજ ઉભો થયો હતો અને સાથે સાથે દેશની આઝાદીની લડાઈનું નેતૃત્વ પણ આ સપૂતોએ આપ્યું છે. આપણા વડવાઓ અને સ્વતંત્ર સેનાનીઓએ દેશની આઝાદી માટે વર્ષો સુધી સંઘર્ષ કર્યો. કારાવાસની ચિંતા કર્યા વિના પરવા કર્યા વિના પોતાનું સર્વસ્વ બલિદાન આપીને આપણને મહામુલી આઝાદી અપાવી છે''.


''હું માનું છું કે આ લડાઈ કોઈ કાચા મનના લોકો નહીં લડી શકે''

તેમણે કહ્યું કે, ''અંગ્રેજોની આર્થિક ગુલામી સામે ગાંધીજીએ જ્યારે દાંડીકૂચની શરૂઆત કરી હતી ત્યારે આજે આ ગુજરાત અને દેશમાં અનેક પડકારો સામાજીક અસમાનતા ઉભી થઈ છે. આર્થિક આ અસમાનતાઓ છે. કુપોષણ સામે લડવાની પણ શરૂઆત કરવી પડશે. બેરોજગારી મોટો પ્રશ્ન છે, ભ્રષ્ટાચાર મોટો પ્રશ્ન છે. આ બધાજ મુદ્દાઓ ઉપર પ્રજાલક્ષી લડાઈનું નેતૃત્વ જેમ ભૂતકાળમાં પણ કોંગ્રેસે કર્યું હતું. ભૂતકાળમાં જે લડાઈ માટેનો જઝબો હતો અને નિર્ભયતા હતી અને કમીટમેન્ટ હતું કે પરિણામની ચિંતા કર્યા સિવાય એક ધ્યેય સાથે આઝાદીની લડાઈની શરૂઆત કરી હતી અને આઝાદી મેળવી હતી. દાંડીકૂચની શરૂઆત વખતે જ્યારે કહેવાતુ હતુ કે આશ્રમની બહાર નિકળીશું તો અંગ્રેજોની ગોળીઓ અને લાઢીઓ સામે છે, કારાવાસ છે જેનામાં લડવા માટેનો જઝબો હોય જેનામાં દેશની આઝાદી માટે મરી કુટવાની તૈયારી હોય તેવા લોકો આ લડાઈમાં જોડાજો. શરૂઆત થોડા લોકોથી થઈ હતી પણ જેમ જેમ આગળ વધ્યા આખા દેશના લોકો એમાં જોડાયા. આપ સૌના માધ્યમથી ગુજરાતમાં પણ જે પરિસ્થિતિ છે અત્યારે ભય, ભુખ અને ભ્રષ્ટાચાર સામે લડવા માટે લોકો કોંગ્રેસ તરફ મીટ માંડીને બેઠા છે માટે આજના સમયના પરિપેક્ષમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોકોની વચ્ચે જઈને બીજી આઝાદીની લડાઈ શરૂ કરવાનો સંકલ્પ આજના દિવસે લઈને આપણે કુપોષણ સામે લડવાનું છે, ભ્રષ્ટાચાર સામે લડવાનું છે, આપણે બેરોજગારી સામે લડવાનું છે, જે તાનાશાહી, અન્યાય અને ભેદભાવની જે નીતિ છે તેની સામે લડવાનું છે. હું માનું છું કે આ લડાઈ કોઈ કાચા મનના લોકો નહીં લડી શકે. આ લડાઈ લડવા માટે પણ જે સ્વાતંત્ર સેનાનીઓના મનમાં જે જઝબો હતો જે મરીફીટવાની તૈયારી હતી તે જ તૈયારી સાથે નિકળીશું તો આવનારા દિવસોમાં આખુ ગુજરાત પણ આ લડાઈમાં તૈયાર છે''.


''તમામ લોકો માટે કોંગ્રેસ છે''

અમિત ચાવડાએ કહ્યું કે, ''ફરી એકવાર ગુજરાત અને તમામ દેશવાસીઓને સ્વતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું અને જે કોંગ્રેસની વિચારધારા છે કે જે સર્વ જાતિ, સર્વ સમાજ, કોઈપણ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવ વગર તમામ લોકો આ દેશના વાસીઓ છે. તમામ લોકો માટે કોંગ્રેસ છે. કોંગ્રેસ તમામ લોકો-સમાજને સાથે રાખીને આગળ વધશે અને તમામના વિકાસ માટે કામ કરવા માંગે છે. એજ વિચારધારાને આપણે જનજન સુધી લઈ જઈએ. અત્યારે જે પડકારો ઉભા થયા છે, આઝાદી સામે ખતરો છે. ખાલી દેશની આઝાદી નહી પરંતુ એક-એક વ્યક્તિની આઝાદી કે જેમને બોલવાની આઝાદી હોય, લખવાની આઝાદી હોય, તેના આચાર-વિચારની આઝાદી હોય, અભિવ્યક્તિની આઝાદી હોય આ બધા સામે ખતરો ઉભો થયો છે. એથી પણ મોટો ખતરો આ દેશની લોકશાહી સામે અને વોટચોરીના નામે થયો છે. હું માનું છું કે, આ પરિપેક્ષમાં પણ આ મુદ્દાઓ સહિતની લડાઈ અને આ દેશના લોકોની આઝાદી બરકરાર રાખવા સંવિધાન અને લોકશાહી સર્વોપરી રહે તેવો આજના સ્વાતંત્ર દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ છીએ''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now