Rahul Gandhi Gujarat Visit : ગુજરાતમાં પંચાયત-પાલિકા અને મહાનગર પાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બિગૂલ ફૂંકાઈ ચુક્યું છે. ચૂંટણી પંચ દ્વારા ટૂંક સમયમાં તેની સત્તાવાર તારીખો પણ જાહેર થઈ શકે છે. હાલ રાજકીયો પણ પોતાની રીતે આ ચૂંટણીઓમાં ઝંપલાવવા તમામ પ્રકારની તૈયારીઓ કરીને બેઠાં છે. તેથી હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે પોતાની રાજકીય શક્તિ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા Rahul Gandhi 23 માર્ચે ગુજરાત પ્રવાસે આવવાના છે, જે કોંગ્રેસ માટે નવી ઉર્જા ફૂંકવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છેકે, લોકસભા હોય કે વિધાનસભા ગુજરાતમાં ભાજપ છેલ્લાં 3 દાયકાથી ચૂંટણીઓમાં સૌથી મોટો પક્ષ બનીને આગળ રહ્યું છે. એ જ પ્રકારે પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં પણ ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. જેના કારણે ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવી છે. ત્યારે ગઢમાં ગાબડું પાડવા માટે હવે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સર્વેસર્વા ગણાતા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે, જેથી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે. તેઓ વડોદરામાં યોજાનારા આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ થકી તેઓ આદિવાસી વોટબેંકને મજબૂત કરવાનો પ્રયાસ કરશે.
આદિવાસી મતદારો પર કોંગ્રેસનું ફોકસ:
રાહુલ ગાંધી વડોદરામાં યોજાનારા “આદિવાસી અધિકાર સંવાદ” કાર્યક્રમમાં ભાગ લેશે. મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને નર્મદા જેવા વિસ્તારોમાં આદિવાસી મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. આ વિસ્તારો લાંબા સમયથી કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં અન્ય પાર્ટીઓએ પણ પકડ મજબૂત કરી છે. ખાસ કરીને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી Aam Aadmi Party (AAP)એ આ વિસ્તારમાં ઝડપથી પોતાનું સ્થાન બનાવ્યું છે. આથી કોંગ્રેસ હવે ફરીથી આદિવાસી વોટબેંકને પોતાની તરફ આકર્ષવા માટે પ્રયત્નશીલ છે. “આદિવાસી અધિકાર સંવાદ” જેવા કાર્યક્રમો દ્વારા સીધો સંપર્ક સાધી, સ્થાનિક મુદ્દાઓને સમજવા અને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવશે.
ચૂંટણી પહેલા રાજકીય સક્રિયતા:
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શિડ્યુલની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. 25 માર્ચે વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીનો પ્રવાસ રાજકીય રીતે અત્યંત મહત્વનો બની જાય છે. કોંગ્રેસે “સંગઠન સૃજન અભિયાન” દ્વારા રાજ્યમાં નવા સંગઠનનું નિર્માણ કર્યું છે. આ અભિયાન બાદ આવનારી મ્યુનિસિપલ અને જિલ્લા પંચાયતની ચૂંટણી કોંગ્રેસ માટે પ્રથમ મોટો ટેસ્ટ સાબિત થશે. પક્ષના નેતાઓ માને છે કે રાહુલ ગાંધીની હાજરી કાર્યકરોમાં ઉત્સાહ વધારશે અને સંગઠનને મજબૂત બનાવશે.
વડોદરા અને મધ્ય ગુજરાતનું રાજકીય મહત્વ:
વડોદરા શહેરમાં કોંગ્રેસની કમાન ઋત્વિક જોશીના હાથમાં છે અને તેઓને ફરી પ્રમુખ તરીકે જાળવી રાખવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અહીં પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરીને રાજ્યની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરશે. સાથે જ આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ પણ કરશે. મધ્ય ગુજરાતમાં આદિવાસી બેલ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું કોંગ્રેસ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે આ વિસ્તાર ચૂંટણીમાં પરિણામોને અસરકારક રીતે પ્રભાવિત કરી શકે છે.
AAP માટે પડકાર ઊભો કરવાનો પ્રયાસ:
2021ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં Aam Aadmi Partyએ ગુજરાતમાં શાનદાર એન્ટ્રી કરી હતી. ત્યારથી AAPએ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે AAP સૌથી મોટો પડકાર બની છે. રાહુલ ગાંધીની મુલાકાતને AAPના પ્રભાવને ઘટાડવા માટેના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે. કોંગ્રેસ હવે ફરીથી પોતાની પરંપરાગત વોટબેંક પર કબજો મેળવવા માટે સક્રિય બની છે.
સંગઠન સ્તરે ફેરફારોની ચર્ચા:
રાજકીય વર્તુળોમાં એક બીજી મહત્વપૂર્ણ ચર્ચા પણ ચાલી રહી છે કે સચિન પાયલટ (Sachin Pilot)ને ગુજરાત કોંગ્રેસની મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. તેઓ અગાઉ ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા છે અને સંગઠન મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. જો આ નિર્ણય લેવાશે તો કોંગ્રેસમાં નવી દિશા જોવા મળી શકે છે.
આંતરિક વિવાદો પણ સામે આવ્યા:
એક તરફ કોંગ્રેસ ચૂંટણી માટે તૈયારી કરી રહી છે, તો બીજી તરફ આંતરિક મતભેદો પણ સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં શહેર કોંગ્રેસ પ્રમુખની નિમણૂંકને લઈને વિરોધ થયો છે. કેટલાક નેતાઓએ નવા પ્રમુખ કૌશલ પટેલની નિમણૂંક સામે નારાજગી વ્યક્ત કરી છે અને આક્ષેપ કર્યો છે કે પાર્ટીમાં મનમાની થઈ રહી છે. વિરોધીઓએ ચીમકી આપી છે કે જો નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો તેઓ રાજીનામું આપશે અને કોંગ્રેસ કાર્યાલયને તાળા મારશે. જોકે કૌશલ પટેલે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેઓ પાયાના કાર્યકર છે અને દરેક સાથે મળીને કામ કરશે.
ગુજરાતમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ભાજપ સામે ટક્કર આપવા કોંગ્રેસ ફરી સક્રિય બની છે, પરંતુ AAPની વધતી અસર અને આંતરિક મતભેદો તેના માટે પડકારરૂપ છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) નો ગુજરાત પ્રવાસ કોંગ્રેસ માટે સંજીવની સાબિત થાય છે કે નહીં, તે આવનારી ચૂંટણીમાં સ્પષ્ટ થશે.




















