નથુરામ ગોડસે પર આધારિત નાટક ‘હું નથુરામ’ના મંચન સામે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગાંધીજીની ધરતી પર તેમના હત્યારાને મહિમા આપતું કોઈ પણ નાટક ભજવાય તે ક્યારેય સ્વીકાર્ય નથી. આ મુદ્દે સૌપ્રથમ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને નાટકનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જામનગર કોંગ્રેસ સમિતિએ પણ ‘નથુ રાવણ’ નામના નાટક સામે સખત વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસનો વિરોધ
આ ઉપરાંત એનએસયુઆઈ અને યુવા કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં પણ નાટકના આયોજન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને તેની સહાયક સંસ્થાઓના વિરોધને જનસમર્થન મળતાં ગુજરાતની જનતાએ ગોડસેના વિચારોને ખુલ્લેઆમ નકારી કાઢ્યા હોવાનું જોવા મળ્યું છે. વિરોધના પગલે રાજકોટ અને જામનગરમાં નાટકના શો રદ્દ કરવા પડ્યા હતા અને હવે મળતી માહિતી મુજબ અમદાવાદમાં પણ નાટકનો શો રદ્દ કરવામાં આવ્યો છે.
'ગોડસેના વિચારોને પ્રસ્તુત કરવાનો કોઈ પણ પ્રયાસ થશે ત્યારે...'
ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે ગુજરાતના ગૌરવંતા ગુજરાતીઓ, ગાંધીવાદીઓ અને દેશપ્રેમી નાગરિકો ક્યારેય મહાત્મા ગાંધીનું અપમાન સહન કરી શકે નહીં. ગુજરાત અને ભારત માટે ગોડસે હંમેશા વિલન રહ્યો છે, જ્યારે મહાત્મા ગાંધી દેશ અને દુનિયાના હંમેશા નાયક હતા, છે અને રહેશે. ગોડસેના વિચારોને પ્રસ્તુત કરવાનો કોઈ પણ પ્રયાસ થશે ત્યારે તેનો હંમેશા સખત વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસે વધુમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુજરાત અને ભારતની જનતા ક્યારેય ગોડસેના વિચારોને સ્વીકારશે નહીં અને ગાંધીજીના સત્ય, અહિંસા અને માનવતાના આદર્શોના રક્ષણ માટે આવું જ જોરદાર પ્રતિભાવ આપતી રહેશે.




















