દેશભરમાં કોંગ્રેસમાં નવા પ્રાણ પુરવા માટે રાહુલ ગાંધીએ કમાન સંભાળી છે. ભારત જોડો યાત્રા બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશન દ્વારા કાર્યકરોમાં નવો જોમ અને જુસ્સો પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ જિલ્લા કક્ષાએ પ્રમુખોની શક્તિમાં વધારો કરવાની વાત કરી છે. સાથે જ ડિસ્ટ્રિક્ટ કમિટિમાં બદલાવ કરીને નવી દિશા નક્કી કરવાનું પણ એલાન કર્યું છે.
બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતને લઈને કહ્યું અહીંની રાજનીતિમાં બદલાવ આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને સંબોધીને કહ્યું શક્તિસિંહ તમારી શક્તિ બતાવો. ગુજરાતના લોકોને સાથે લઈને તમારી શક્તિ બતાવો. હું, સોનિયાજી અને રાહુલજી તમારી સાથે છીએ. રાષ્ટ્રિય અધિવેશનમાં ખુલ્લા મંચ પરથી હાઈકમાન્ડ દ્વારા શક્તિસિંહને શક્તિ બતાવવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે રાજકિય વર્તુળોમાં આ બાબતને લઈને અલગ અલગ તર્કવિતર્કો વહેતા થયા છે. એક તરફ સૌ કોઈ જાણે છેકે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં વર્ષોથી અલગ અલગ વાડા પડેલા છે. જૂથબંદીને કારણે જ ગુજરાત કોંગ્રેસની ઘોર ખોદાઈ છે. ખુદ રાહુલ ગાંધી પણ ઘણીવાર એ વાતનો સ્વીકાર કરી ચૂક્યા છે. ત્યારે હવે પોત પોતાના જૂથને લઈને ચાલનારા ગુજરાત કોંગ્રેસના બીજા નેતાઓના રાજકીય ભાવિ જોખમમાં મુકાયા હોય તેવો માહોલ સર્જાયો છે.
આ અગાઉ કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠક બાદ ખડગેએ જણાવ્યું હતુંકે, કોંગ્રેસના 140 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ શક્તિ ગુજરાતે આપી છે. અમે ગાંધી-સરદારની ભૂમિ પર પ્રેરણા-શક્તિ લેવા આવ્યાં છીએ. ગુજરાતની આ ભૂમિએ અમને ગાંધી-સરદાર જેવું નેતૃત્વ આપ્યું છે. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે.
આ અધિવેશન ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે. એટલું જ નહીં મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા તેને આ વર્ષે 100 વર્ષ પુરા થઈ રહ્યાં છે. આ ઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પણ આવી રહી છે. બંને મહાનુભાવોનો જન્મ ગુજરાતમાં થયો હતો, તેથી કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.
નેહરુ કેબિનેટનું મંત્રીપદ ઠુકરાવી ભોગવ્યો જેલવાસ!: રાષ્ટ્રવાદ માટે નાંખ્યો જનસંઘનો પાયો, બસ ત્યાંથી શરૂ થઈ દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષની વિચારયાત્રા






