અમદાવાદમાં ધોળકા તાલુકાના રામપુરા ગામે મંદિરની દિવાલ તોડવાના મામલે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સાંસદ ગેનીબેન ઠાકોર, અમૃતજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રાજુ ગોહેલ અને મહિલા કોંગ્રેસ પ્રમુખ મિનિષાબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
મંદિરની દિવાલ તોડી પાડવા મામલો ઠોકોર સમાજમાં આક્રોશ
રામપુરા ગામમાં મંદિરની દિવાલ તોડી પાડવામાં આવતાં ઠાકોર સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. વિરોધ સ્વરૂપે યોજાયેલી આ સભામાં કોંગ્રેસના નેતાઓએ પોલીસ અને વહીવટી તંત્ર પર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ગામજનોની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.
'આ લડત માત્ર રામપુરા ગામની નથી, પરંતુ સમગ્ર ગુજરાત માટે એક સંદેશ છે'
સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના સંબોધનમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આ લડત માત્ર રામપુરા ગામની નથી, પરંતુ સમગ્ર ગુજરાત માટે એક સંદેશ છે. તેમણે ગ્રામજનોની હિંમતના વખાણ કરતાં જણાવ્યું કે 'તમે અન્યાય સામે લડવાની તૈયારી બતાવી તે બદલ અભિનંદન. તમે અન્યાય સહન ન કર્યો અને સમગ્ર ગુજરાતનું મનોબળ મજબૂત કર્યું.”
તેમણે વધુમાં ઉમેર્યું કે “આખા ગુજરાતને અન્યાય સામે લડવાનો મેસેજ રામપુરા ગામથી મળ્યો છે.” સાથે જ ચેતવણી આપતા કહ્યું કે “અમારા કોઈ કાર્યકરને ટાર્ગેટ કરવામાં આવશે તો અમે તેમની સાથે મજબૂત રીતે ઊભા રહીશું.”
સભા દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને મંદિર મુદ્દે ન્યાયની માંગ સાથે એકતા દર્શાવી હતી.




















