કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માંગ કરી હતી કે વર્ષ ૨૦૨૩માં અપનાવવામાં આવેલી નવી દ્વિસ્તરીય TAT (માધ્યમિક) પરીક્ષામાં સફળ થયેલ ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો હાલ રાજ્ય સરકારની વચગાળાની યોજના અંતર્ગત “જ્ઞાન સહાયક” તરીકે કોન્ટ્રાક્ટ આધારે સેવા આપી રહ્યા છે. પરંતુ તેમની કાયમી ભરતીના નામે જે સરકારી રાહે જાહેરાતો અને વાતો કરવામા આવે તે મુજબ કોઇ પરિણામ આપવામા આવેલ નથી. છેલ્લે સરકાર દ્વારા નક્કર ભરતી માટે જાહેર કરાયેલ નોટિફિકેશન બાદ છેલ્લા કેટલાય મહિનાઓથી માત્ર જગ્યાઓની ફેરફાર અને ફોર્મમાં સુધારાઓ થયા છે. પરંતુ હજુ સુધી કોઇ સ્પષ્ટ ભરતી હાથ ધરવામાં આવી નથી.
ઉમેદવારોએ તા.૨૩.૦૪.૨૦૨૫ના રોજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી ચુક્યા છે તેમને પણ આજ દિન સુધી PML-2, FML, શાળા પસંદગી કે હાજરી ઓર્ડર આપવામા આવેલ નથી. ઉપરાંત આ અંગેનો સરકારી રાહે પ્રગતિનો અહેવાલ અધિકૃત રીતે ઉમેદવારોને આપવામા આવેલ પણ નથી. અને ચાલુ વેકેશનના અંતે જૂન-૨૦૨૫થી નવા શૈક્ષણિક સત્રમાં હાજર થવાની માત્ર સંભાવના દર્શાવવામાં આવે છે, પરંતુ આ દિશામાં પણ નક્કર પગલું લેવામાં આવ્યા નથી.
આ પ્રશ્નોને લઈને ઉમેદવારો અનેક વખત સચિવાલય ખાતે ઉપસ્થિત રહીને મા.શિક્ષણ મંત્રીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી ચુકયા છે, ઉપરાંત અનેક ઉમેદવારો જીલ્લાઓમાંથી રજૂઆતો કરી છે.આમ છતાં આજ દિન સુધી તેમા પણ કોઇ સકારાત્મક પરિણામ પ્રાપ્ત થયેલ નથી.
રાજ્ય સરકારની બેકાળજી અને નિષ્કાળજીને કારણે તમામ ઉમેદવારો આર્થિક અને માનસિક રીતે ભારે નુકશાન ભોગવી રહ્યા છે. રાજ્ય સરકારે ભણશે ગુજરાત અને ખેલશે ગુજરાતના રુપકડા વિચારોને સાર્થક કરવા માટે શાળા શિક્ષકોની ભરતી પ્રક્રિયા પારદર્શક અને સમય મર્યાદા પુર્ણ થાય તે ખુબ જરુરી છે.રાજ્યના શિક્ષણ વિભાગને આ અંગે ત્વરિત સુચના આપવામા આવે કે PML-2,FML, શાળા પસંદગી અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામા આવે.






