ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે પ્રેસ કોન્ફરસ યોજી ખેડૂતોનો પક્ષ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાજપ પર આકરા પ્રહાર અને કોંગ્રેસની પૂર્વ સરકારના વખાણ ગાથઆ રજૂ કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર તીવ્ર પ્રહાર કર્યા અને ખેડૂતોની હાલત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, “છેલ્લા કેટલાય વર્ષોમાં ન જોવા મળેલી એવી કારમી પરિસ્થિતિ આજે ખેડૂતો સામે ઊભી થઈ છે. દિવાળી પછી સતત પડેલા વરસાદે પાક બરબાદ કર્યો છે, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે ખર્ચાઈ ગયા છે.”
પાક વિમા યોજના પર સવાલો ઉઠાવ્યા
શક્તિસિંહ ગોહિલે સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે છે, તો પછી ગુજરાત સરકાર કેમ નથી આપતી?” તેમણે ઉમેર્યું કે, સરકાર માત્ર જાહેરાતો ન કરે, પરંતુ ખરેખર ખેડૂતો સુધી મદદ પહોંચે તે માટે પગલાં લે''. તેમણે પાક વિમા યોજના પર પણ પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે, “પાક વીમા યોજનાનો સાચો લાભ ખેડૂતોને મળવો જોઈએ, ન કે ઇન્સ્યોરન્સ કંપનીઓને. ખેડૂતોના હિતમાં વિમા રકમ સમયસર અને પારદર્શક રીતે ચૂકવવી આવશ્યક છે.”
'તાત્કાલિક રાહત પેકેજની જાહેરાત કરવી જોઈએ'
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, “ભૂખ સંતોષે તો માત્ર ખેડૂતની પેદાશ જ! પરંતુ આજે કુદરત અને નીતિ બંનેએ ખેડૂતને લાચાર બનાવી દીધો છે.” અંતે તેમણે સરકારને વિનંતી કરી કે ખેડૂતોની મુશ્કેલીઓને રાજકીય દ્રષ્ટિકોણથી નહીં પરંતુ માનવતાની દ્રષ્ટિએ જોવી જોઈએ અને તાત્કાલિક રાહત પેકેજની જાહેરાત કરવી જોઈએ.
''અત્યારે બહું ખરાબ પરિસ્થિતિ થઈ...''
તેમણે કહ્યું કે, 'ગંભીર વિષય છે, છેલ્લા થોડા જ કલાકોમાં ભાણવડ તાલુકના કરશનભાઈએ આત્મહત્યા કરી એજ રીતે ઉના તાલુકાના એક ખેડૂતે પોતાના શરીર પર પથ્થર બાંધીને આત્મહત્યા કરી છે. ત્યારે આપણે જગતનો તાત કહીએ છીએ, કોઈ પણ મોટો ઉદ્યોગપતિ એવી વસ્તુ બનાવી શક્યો નથી, જેનાથી માણસના પેટનો ખાડો પુરાય, ભૂખ સંતોષાય. અત્યારે બહું ખરાબ પરિસ્થિતિ થઈ તેવી પહેલા ક્યારે પરિસ્થિતિ ઉભી થઈ નથી.






