ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગૃહમાં હવે સીધી ટક્કર જોવા મળશે, કારણ કે ભાજપ તરફથી પૂર્ણેશ મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસે શૈલેષ પરમારને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. બંને નેતાઓ વચ્ચેની આ ટક્કર રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
'વિધાનસભાની પરંપરા મુજબ ઉપાધ્યક્ષ પદ વિપક્ષને મળવું જોઈએ'
કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે ઉપાધ્યક્ષ પદ માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. તેમણે જણાવ્યું કે, 'કોંગ્રેસ હાઇકમાન્ડે તેમને ફોર્મ ભરવા સૂચના આપી છે. શૈલેષ પરમારનું કહેવું છે કે વિધાનસભાની પરંપરા મુજબ ઉપાધ્યક્ષ પદ વિપક્ષને મળવું જોઈએ, પરંતુ ભાજપ આ પરંપરાનું પાલન કરતી નથી. તેમણે વધુમાં કહ્યું કે તેઓ યુવાન ધારાસભ્ય છે અને દલિત સમાજમાંથી આવે છે, તેથી તેઓ ગૃહમાં દરેક વર્ગના હિતોની અવાજ ઉઠાવશે.
પૂર્ણેશ મોદી v/s શૈલેષ પરમારની ટક્કર જામશે
ઉપાધ્યક્ષ પદ માટેની આ ચૂંટણીમાં સંખ્યાબળનો મુદ્દો નિર્ણાયક સાબિત થઈ શકે છે. ગુજરાત વિધાનસભામાં સત્તારૂઢ પક્ષને બહુમતીનો લાભ છે, છતાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ઉતારતા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વિપક્ષ ગૃહમાં પોતાની સક્રિય ભૂમિકા નિભાવવા તૈયાર છે. હવે મતદાનના દિવસે સ્પષ્ટ થશે કે સંખ્યાબળનું ગણિત અને રાજકીય વ્યૂહરચના કેવી રીતે પરિણામ નક્કી કરે છે.



















