15મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રના પ્રથમ દિવસે તા. 16 ફેબ્રુઆરી, સોમવારે વિધાન ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક દર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સદસ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
શોક દર્શક ઉલ્લેખો
વિધાનસભાના પૂર્વ દિવંગત સદસ્યો પૂર્વ મંત્રી સ્વ. શ્રી મનસુખભાઇ છગનલાલ જોષી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રીશ્રી સ્વ. શ્રી મોહંમદભાઇ ગુલામમોહયુદીન સુરતી તથા પૂર્વ સભ્યો સ્વ. શ્રી ધીરજલાલ ફુલાભાઇ રીબડીયા, સ્વ. શ્રી અમરસિંહ રામસિંહ વસાવા, સ્વ. શ્રી વજુભાઇ પરમાભાઇ ડોડિયા અને સ્વ. શ્રી બાવનજીભાઇ હંસરાજભાઇ મેતલિયાના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો ગૃહમાં રજુ થયા હતા.
સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌ દિવંગત પૂર્વ જનપ્રતિનિધિઓની કર્તવ્યપરાયણતા અને પ્રજાકીય પ્રશ્નો- રજૂઆતોને વાચા આપી તેના નિવારણ માટેની સક્રિયતાની સરાહના કરી હતી. તેમણે દિવંગત પૂર્વ સભ્યઓના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરીને તેમના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના કરી હતી.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યમંત્રી મંડળના મંત્રીઅર્જુન મોઢવાડિયા અને વિપક્ષના ધારાસભ્યો સર્વ તુષાર ભાઇ ચૌધરી, ચૈતર ભાઇ વસાવા અને ગોપાલ ઇટાલિયા એ પણ આ શોક દર્શક ઉલ્લેખોમાં પોતાનો સૂર પુરાવીને દિવંગત પૂર્વ સદસ્યોને ભાવાંજલિ આપી હતી. આ સૌ સ્વર્ગસ્થ પૂર્વ સભ્યોના પરિવારજનોને વિધાન સભા અધ્યક્ષશ્રી મારફતે સમગ્ર ગૃહ વતી દિલસોજી સંદેશ પાઠવવામાં આવ્યા હતા. આ સૌ દિવંગત સભ્યોના સન્માનમાં સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું હતું.




















