ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી પદનો શપથ લીધા બાદ સી. જોસેફ વિજય આજે પોતાની પ્રથમ સત્તાવાર દિલ્હી મુલાકાતે પહોંચી રહ્યા છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા અને તમિલનાડુમાં સત્તા પરિવર્તન લાવનાર મુખ્યમંત્રી વિજયની આ મુલાકાત રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. તેઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને રાજ્યના વિકાસલક્ષી મુદ્દાઓ અને પેન્ડિંગ માંગણીઓ પર ચર્ચા કરશે.
મુખ્યમંત્રી વિજય આજે સવારે ચેન્નાઈ એરપોર્ટથી દિલ્હી માટે રવાના થશે. આ બેઠક આજે સાંજે ૪:૩૦ વાગ્યે વડાપ્રધાનના નિવાસસ્થાને નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના
ભવિષ્યના વિકાસ માટે કેન્દ્ર સરકારના સહયોગની માંગણી કરશે.
PM મોદી સમક્ષ રજૂ કરશે રાજ્યની મહત્વની માંગણીઓ
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજય વડાપ્રધાન મોદીને રાજ્યની લાંબા સમયથી પડતર માંગણીઓ અંગેનું એક વિસ્તૃત મેમોરેન્ડમ (આવેદનપત્ર) સોંપશે. આ માંગણીઓમાં મુખ્યત્વે રાજ્યના કલ્યાણકારી પ્રોજેક્ટ્સ માટે ગ્રાન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ફંડિંગ, અને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે જરૂરી ક્લિયરન્સ મેળવવા પર ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત, બંને નેતાઓ વચ્ચે ચર્ચાનું કેન્દ્રબિંદુ મેકેદાતુ જળ વિવાદનું નિરાકરણ પણ રહેશે, જે તમિલનાડુ માટે અત્યંત સંવેદનશીલ મુદ્દો છે.
નાણામંત્રી અને ટોચના નેતાઓ સાથે પણ થશે મુલાકાત
માત્ર વડાપ્રધાન જ નહીં, પરંતુ મુખ્યમંત્રી વિજય આ દિલ્હી પ્રવાસ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે પણ બેઠક કરશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ચાલી રહેલા વિકાસકામો માટે નાણાકીય સહાય મેળવવાનો અને રાજ્યના આર્થિક હિતોને સુરક્ષિત કરવાનો છે.





