Gandhinagar Crime Conference : ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો હતો. બે દિવસ સુધી ચાલનારી આ મહત્વપૂર્ણ કોન્ફરન્સમાં રાજ્યભરના પોલીસ તંત્રને વધુ સક્ષમ, આધુનિક અને અસરકારક બનાવવા અંગે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે. કોન્ફરન્સ દરમિયાન ગુનાખોરી નિયંત્રણ માટેની બેસ્ટ પ્રેક્ટિસના વિવિધ મોડલ રજૂ કરવામાં આવ્યા છે, જેનો અમલ રાજ્યભરમાં કરી શકાય તે અંગે ચર્ચા થઈ રહી છે.
ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ
આ ક્રાઈમ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સુરક્ષા, સાયબર ક્રાઇમ સામેની લડત, તેમજ ડ્રગ્સના દુષણ સામે ઝીરો ટોલરન્સની વ્યૂહરચના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વધતા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખી ટેકનોલોજી આધારિત તપાસ, ડિજિટલ ફોરેન્સિક્સ અને જનજાગૃતિ વધારવા જેવા મુદ્દાઓ પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. સાથે જ, નશીલા પદાર્થોના વેપાર અને વપરાશ સામે કડક કાર્યવાહી માટે પોલીસ તંત્ર કેવી રીતે વધુ અસરકારક બની શકે તે અંગે માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી છે.
“વિકસિત ભારત-2047”
કોન્ફરન્સમાં “વિકસિત ભારત-2047”ના વિઝન હેઠળ ગુજરાત પોલીસની ભૂમિકા શું રહેશે તે સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી છે. ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને ટેકનોલોજી, તાલીમ અને માનવ સંસાધનના ક્ષેત્રે કેવી રીતે વધુ મજબૂત બનાવવી તે અંગે વિચારો રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગોના વડાઓ તેમજ રાજ્યભરના જિલ્લા પોલીસના વડાઓ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારનું માનવું છે કે આવી કોન્ફરન્સ દ્વારા પોલીસ તંત્રમાં સંકલન વધશે અને ગુનાખોરી સામે વધુ અસરકારક રીતે કાર્યવાહી કરી શકાશે.





















