Home Gujarat Chotila Chain Snatching Accused Arrested Surendranagar Lcb

ચોટીલામાં યાત્રાળુ મહિલાઓને નિશાન બનાવતી ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : બે આરોપી ઝડપાયા, રૂ. 5.11 લાખના સોનાના ચેન કબજે

ચોટીલામાં ચેન સ્નેચિંગ કેસનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીઓને રજૂ કરતી પોલીસ
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 13, 2026, 01:27 PM IST

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) પોલીસે ચોટીલા પોલીસ મથકમાં નોંધાયેલા ચેન સ્નેચિંગના ત્રણ ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી અંદાજે રૂ. 5.11 લાખ કિંમતના ત્રણ સોનાના ચેન કબજે કર્યા છે. આરોપીઓ ચોટીલા યાત્રાધામમાં ભારે ભીડનો લાભ લઈ મહિલાઓના ગળામાંથી સોનાના ચેન ઝૂંટવી ફરાર થઈ જતા હતા.

યાત્રાધામમાં ભીડનો લાભ લઈ કરતા હતા ચોરી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખાસ કરીને ચોટીલાના પ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા આવતી મહિલાઓને નિશાન બનાવતા હતા. યાત્રાધામમાં ભારે ભીડ દરમિયાન તકનો લાભ લઈને તેઓ પળવારમાં મહિલાઓના ગળામાંથી સોનાના ચેન ખેંચી નાસી છૂટતા હતા. આ પ્રકારની સતત ઘટનાઓને લઈને ચોટીલા પોલીસમાં ત્રણ અલગ-અલગ ગુનાઓ નોંધાયા હતા, જેની તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી.

અમદાવાદ અને મહેમદાવાદથી આવતા હતા આરોપીઓ

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને આરોપીઓ અમદાવાદ અને મહેમદાવાદ વિસ્તારમાંથી ચોટીલા આવતા હતા. તેઓ અગાઉથી યોજના બનાવી યાત્રાધામમાં પહોંચતા, ભીડમાં ચોરીને અંજામ આપતા અને તરત જ પોતાના શહેર તરફ પરત ફરી જતા હતા, જેથી પોલીસને તેમની ઓળખ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે. તકનિકી સર્વેલન્સ, ગુપ્ત બાતમી અને વિવિધ પુરાવાઓના આધારે એલસીબીની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

રૂ. 5.11 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી કુલ ત્રણ સોનાના ચેન મળી રૂ. 5.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપીઓએ અન્ય જિલ્લાઓ કે ધાર્મિક સ્થળોએ પણ આવી જ પ્રકારની ચોરીઓ કરી છે કે નહીં. જો અન્ય ગુનાઓમાં સંડોવણી બહાર આવશે તો તે અંગે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

યાત્રાળુઓને સાવચેત રહેવાની અપીલ

સુરેન્દ્રનગર ડીવાયએસપી પાર્થ પરમારે જણાવ્યું હતું કે ચોટીલા જેવા યાત્રાધામોમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી આવા ગુનાઓ અટકાવવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખી રહી છે. તેમણે ખાસ કરીને મહિલાઓ અને યાત્રાળુઓને ભીડવાળા સ્થળોએ કિંમતી દાગીના પહેરતી વખતે સાવચેત રહેવા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી હતી. પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ પૂછપરછ દ્વારા અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો
: વિશ્વ મંચ પર ફરી ગુંજ્યું ગુજરાતનું ગૌરવ : રાણી કી વાવના 3D પ્રોજેક્શન શોને મળ્યો ગોલ્ડ એવોર્ડ

બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ કરી
તપાસ દરમિયાન પોલીસે આરોપીઓની હિલચાલ, યાત્રાધામ વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ તેમજ અન્ય પુરાવાઓના આધારે તેમની ઓળખ સ્થાપિત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ચોટીલામાં નોંધાયેલા ચેન સ્નેચિંગના બનાવોમાં સંડોવણી હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસનું કહેવું છે. હાલ પોલીસે બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ કરી છે અને તેઓએ રાજ્યના અન્ય યાત્રાધામો અથવા શહેરોમાં પણ આવી જ પ્રકારની ચોરીઓને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now