Home Gujarat Chief Minister Visits Areas Affected By Unseasonal Rains

મુખ્યમંત્રી કમોસમી વરસાદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે : 'ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર થશે', ખેડૂતોની આપવીતી સહાનુભૂતિપૂર્વક સાંભળી,

મુખ્યમંત્રી કમોસમી વરસાદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
Published by: OBS Bureau
Last Updated: Nov 03, 2025, 02:27 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓક્ટોબર માસના છેલ્લા અઠવાડિયાથી શરુ થયેલા કમોસમી વરસાદથી રાજ્યના અનેક ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનની અણધારી કુદરતી આફતના સમયે સંપૂર્ણ સંવેદના સાથે રાજ્યના ખેડૂતોની પડખે ઉભા રહીને નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી છે. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ગાંધીનગર ખાતેથી રીયલ ટાઈમ મોનીટરીંગ કરીને તેમજ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનનો સંપૂર્ણ અહેવાલ મેળવવા માટેની સૂચનાઓ પણ આપી હતી.

સર્વેની 70 ટકા કામગીરી પૂર્ણ

આ સંદર્ભમાં કૃષિ વિભાગ સહિત રાજ્ય સરકારના અન્ય વિભાગોએ સંકલન કરીને તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે શરૂ કરી દીધો છે અને અત્યાર સુધીમાં આશરે 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. બાકીના વિસ્તારોમાં પણ સર્વે કામગીરી સત્વરે પૂર્ણ કરવા મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં કૃષિ વિભાગ સહિતના સંબંધિત વિભાગો 24 X 7 કાર્યરત છે. આ કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને વધુમાં વધુ ઝડપથી સહાય મળી શકે તે માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 4,800થી વધુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવી છે.

CMએ ખેડૂતોની આપવીતી સહાનુભૂતિપૂર્વક સાંભળી

મુખ્યમંત્રી સ્વંય ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ અને જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામે સોમવારે બપોર બાદ પહોંચ્યા હતા અને ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને થયેલા નુકસાનનો ક્યાસ સ્થળ સ્થિતિ નિરીક્ષણ દ્વારા તેમણે મેળવ્યો હતો અને ખેડૂતોની આપવીતી સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી. મુખ્યમંત્રી સાથે મંત્રીઓ સર્વે અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા પણ આ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મૂલાકાતમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ ધરતી પુત્રોને સધિયારો આપતા કહ્યું કે, સમગ્ર સરકાર તેમની સાથે પુરી સંવેદનાથી ઉભી છે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે.

અંદાજે રાજ્યમાં 249 તાલુકામાં ખેતી પાકમાં નુકસાન

તાજેતરના આ કમોસમી વરસાદમાં પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં 249 તાલુકાના 16,000થી વધુ ગામોના ખેતી પાકોમાં નુકસાન જોવા મળ્યું છે. આ નુકસાનની સામે હાલની સ્થિતિએ 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે, બાકીના વિસ્તારોની કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે આ નુકસાનીનો સર્વે પૂર્ણ થતાવેંત જ ખૂબ જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવાની દિશામાં પણ કામગીરી ખડેપગે રહીને ઉપાડી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ
ગુજરાત સ્થાપના દિને ડાયમંડ સીટીમાં ઉમટી પડશે રોકાણકારોનો જમાવડો
બગવાડા ટોલનાકા પર પકડાઈ ક્રૂરતાની પરાકાષ્ઠા
ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય
ચુંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું