ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક ટ્રેડ ડીલ અંગે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય કરાવે છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ ટ્રેડ ડીલ માત્ર ઉદ્યોગ પૂરતી સીમિત નથી, પરંતુ વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે. તેમણે ઉમેર્યું કે, જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહીઓ સાથે મળીને આગળ વધે છે, ત્યારે સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે.
'વિશ્વના વ્યાપક બજારોના નવા દ્વાર ખુલશે'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ ટ્રેડ ડીલ ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયની શરૂઆત સમાન છે. આ કરારના પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ’ના વિઝનને વધુ બળ મળશે. તેમણે ખાસ કરીને જણાવ્યું કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર અમેરિકાના ટેરિફમાં 18 ટકાનો ઘટાડો ઉત્પાદન ક્ષેત્ર, MSME, નિકાસકારો અને રોજગાર સર્જન માટે નોંધપાત્ર પ્રોત્સાહન સાબિત થશે. આ સાથે ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વિશ્વના વ્યાપક બજારોના નવા દ્વાર ખુલશે.
'તમામ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે'
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, પેટ્રોલિયમ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં અગ્રણી સ્થાન ધરાવે છે. ભારત અને અમેરિકા વચ્ચે થયેલા આ ઐતિહાસિક કરારથી આ તમામ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં, ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને MSME સહિતના વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે. CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે આ કરારથી ભારતની ગ્લોબલ ઇકોનોમિક પ્રેઝન્સ વધુ મજબૂત બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ અને સિટિઝન સેન્ટ્રિક ડિપ્લોમસીના કારણે ભારત-યુએસ સંબંધોથી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પણ વેગ મળશે. અંતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના સૌ નાગરિકો વતી તેઓ આ ઐતિહાસિક દ્વિપક્ષીય વ્યાપાર કરાર બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન પાઠવે છે.




















