મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરતીપુત્રો સહિત નાગરિકોના નાના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે ત્વરાએ નિવારણ લાવવા જિલ્લા વહીવટી તંત્રોને તાકીદ કરી છે.મુખ્યમંત્રીએ સ્વાગતમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતા લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિવારણ ત્વરિત અને નિશ્ચિત સમયમર્યાદામાં લાવી દેવાના સ્પષ્ટ દિશા-નિર્દેશો સંબંધિત અધિકારીઓને આપ્યા હતા.
દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે મે-2025ની રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીએ 11 જેટલા રજૂઆતકર્તાઓની રજૂઆતો સાંભળીને તેના નિવારણ માટેના સૂચારુ સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રી સમક્ષ સ્વાગતમાં મુખ્યત્વે મહેસુલ વિભાગમાં જમીન માપણી, સંપાદન, સંપાદન મુક્તિ અને મકાન બાંધકામની સ્ટેમ્પ ડ્યુટીને લગતા તેમજ સિંચાઈ વિભાગમાં પ્રોટેક્શન વોલ સહિતના પ્રશ્નોની રજૂઆત મળી હતી. આ ઉપરાંત પોલીસ, પંચાયતને સ્પર્શતા પ્રશ્નો પણ રજૂ થયા હતા.
આ મે-2025ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં સમગ્રતયા 90 જેટલા રજૂઆતકર્તાઓએ પોતાની જુદી જુદી રજૂઆતો કરી હતી. તેનું જનસંપર્ક કક્ષના અધિકારીઓ દ્વારા નિરાકરણ કરવા માટે સંબંધિતોને સૂચનાઓ આપવામાં આવી હતી. રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમો પણ નિયમિતપણે યોજાય છે, તેમાં મે-2025ના સ્વાગતમાં વિવિધ નાગરિકોની કુલ 1103 જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળીને તેના નિરાકરણ માટે યોગ્ય સૂચનાઓ આપવામાં આવી હતી. તાલુકા કક્ષાએ યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 2503 એમ કુલ 3617 રજૂઆતો રૂબરૂ સાંભળીને તેમાંથી 52 ટકા જેટલી રજૂઆતોનું સ્થળ પર જ નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે.
આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, અધિક અગ્ર સચિવ મતી અવંતિકા સિંઘ, સચિવ ડો. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ તથા રાકેશ વ્યાસ, તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ જોડાયા હતા.





