Chaitar Vasava visit to Padaliya : બનાસકાંઠાના પાડલીયા ગામે તાજેતરમાં ઘટેલી ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આવતીકાલે પાડલીયા ગામની મુલાકાત લેશે. ચૈતર વસાવાએ જણાવ્યું કે, તેઓ આદિવાસી સમાજના આગેવાનો તથા પાર્ટીની લીગલ ટીમ સાથે ગામમાં જઈને સમગ્ર ઘટનાની વિગત જાણશે.
'શરૂઆતમાં લાઠીચાર્જ અને ત્યારબાદ ફાયરિંગ...'
ચૈતર વસાવાએ પ્રશ્ન ઉઠાવ્યો કે, 'શરૂઆતમાં લાઠીચાર્જ અને ત્યારબાદ ફાયરિંગ કરવામાં આવ્યું હોવા છતાં તે કાર્યવાહી કરનારા લોકો સામે કોઈ ફરિયાદ કેમ દાખલ કરવામાં આવી નથી, જ્યારે માત્ર આદિવાસી લોકો સામે જ ફરિયાદ કેમ કરવામાં આવી છે. તેમણે આ બાબતને ગંભીર ગણાવી છે.
'પાડલીયા ગામમાં ચિંતન કરવામાં આવશે'
તેમણે જણાવ્યું કે, 'હિંસાની શરૂઆત કોણે કરી, હિંસા શા માટે થઈ, ફાયરિંગ કરવાની જરૂર કેમ પડી, આવી તમામ બાબતોની સાચી હકીકત જાણવા માટે તેઓ પાડલીયા ગામની મુલાકાત લેશે'. સાથે જ તેમણે કહ્યું કે, 'આદિવાસી સમાજને મળેલા અધિકારોનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે થઈ શકે અને આવી હિંસાત્મક ઘટનાઓ ભવિષ્યમાં કેવી રીતે રોકી શકાય તે મુદ્દાઓ પર પણ આવતીકાલે પાડલીયા ગામમાં ચિંતન કરવામાં આવશે'.





















