રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી ચિત્ર શિક્ષકોની ભરતી ન થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ગાંધીનગરમાં શિક્ષકોએ સરકારને ચિત્ર વિષયની ભરતી પ્રક્રિયા જાહેરાત ન કરવા માટે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.
પંચમહાલ જિલ્લાના શિક્ષિકા ભવિષાબેન પટેલના જણાવ્યા અનુસાર "છેલ્લા લગભગ 15 વર્ષથી રાજ્ય સરકારે ચિત્ર વિષયના શિક્ષકોની કોઈ નવી ભરતી જાહેર કરી નથી. કેટલા કેટલા બજેટ ફાળવાઈ ગયા અને અત્યારે સરકાર એવો દાવો કરે છે કે અમે ઐતિહાસિક બજેટ. તો આ ઐતિહાસિક બજેટમાં અમારો નિર્ણય કેમ ન લીધો તમે? જો સરકારને ગાંડા બાવળ દેખતા હોય, તેના માટે કરોડોની ગ્રાન્ટો ફળવવી હોય તો ચિત્ર-સંગીતવાળાનો શું ગુનો?"
તેમણે વધુમાં કહ્યું, "જે શિક્ષણ મંત્રી ભણેલા ગણેલા રિવાબા એજ્યુકેટેડ છે, તેમણે પોતાની જાત ને ખબર હોવી જોઈએ કે ત્રણેય વિષય (સંગીત-ચિત્ર-વ્યાયામ) ભેગા થાય ત્યારે એક બાળકનો સર્વાંગી વિકાસ થાય છે." તેમણે સરકારને ચીમખી આપતા કહ્યું,"અમે ઉગ્ર આંદોલન કરીશું, અમારી ભરતી નહીં થાય તો અહીં ઉભેલા તમામ વ્યક્તિઓ આત્મવિલોપન કરવાની તૈયારીમાં છીએ."
શિક્ષક કિરણભાઇ મકવાણાએ મીડીયા સાથે વાત કરતાં જણાવ્યું કે, "મુખ્ય અમારી માંગણી એ છે કે ગુજરાત સરકારમાં ચિત્ર, સંગીત અને વ્યાયામ આ અતિ મહત્વના વિષયો છે. આ ત્રણેય વિષયોનો GR એક હોવાથી ફક્ત વ્યાયામ વિષય માટે ગુજરાત સરકારના બજેટમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તો અમારી સરકારે નમ્ર વિનંતી છે કે વ્યાયામની સાથે સાથે ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકો માટે પણ બજેટ ફાળવવામાં આવે, તત્કાલ તેની જોગવાઈ કરવામાં આવે. તથા શિક્ષણ મંત્રીને પણ નમ્ર વિનંતી છે.




















