Canada Punjabi Family Case: કેનેડાના ઑન્ટારિયોમાં ત્રણ વર્ષ પહેલાં બનેલી ભયાનક ગોળીબારની ઘટનાએ ફરી ચર્ચા જગાવી છે. પંજાબી મૂળની યુવતી જસપ્રીત કૌર સિદ્ધુએ આરોપ લગાવ્યો છે કે જો પોલીસ સમયસર ચેતવણી આપતી, તો આજે તેના માતા-પિતા જીવિત હોત. 13 ગોળીઓ વાગ્યા બાદ જીવતી બચેલી જસપ્રીત હવે કેનેડાની પીલ રિજનલ પોલીસ સામે 80 મિલિયન કેનેડિયન ડોલર એટલે કે અંદાજે ₹558 કરોડના વળતરની માંગ સાથે કોર્ટમાં પહોંચી છે.
કેનેડામાં ભારતીય મૂળના એક પરિવાર સાથે બનેલી હૃદયવિદારક ઘટનાએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદો અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉભા કર્યા છે. પંજાબી મૂળની જસપ્રીત કૌર સિદ્ધુ અને તેના ભાઈ ગુરદિત્ત સિદ્ધુએ કેનેડાની પીલ રિજનલ પોલીસ સામે ભારે વળતરનો દાવો દાખલ કર્યો છે. પરિવારનો આરોપ છે કે પોલીસે જોખમ વિશે જાણ હોવા છતાં તેમને ચેતવણી આપી નહોતી અને તેની બેદરકારીના કારણે તેમના માતા-પિતાની હત્યા થઈ.
આ સમગ્ર ઘટના 20 નવેમ્બર 2023ની છે, જ્યારે અમૃતસરથી કેનેડામાં પોતાના બાળકોને મળવા આવેલા જગતાર સિદ્ધુ અને હરભજન સિદ્ધુ ઑન્ટારિયોના એક ઘરમાં રોકાયા હતા. તે રાત્રે કેટલાક હુમલાખોરો ત્યાં પહોંચ્યા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં દંપતીનું મોત થયું, જ્યારે તેમની પુત્રી જસપ્રીત ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
“મારી સામે પિતાને ગોળી મારી”: જસપ્રીતનું કરુણ નિવેદન
કોર્ટમાં દાખલ કરાયેલા દાવામાં જસપ્રીત કૌર સિદ્ધુએ જણાવ્યું કે તે રાત આજે પણ તેને ડરાવી દે છે. તેના જણાવ્યા મુજબ હુમલાખોરોએ પહેલા તેના પિતાને ગોળી મારી હતી. ત્યારબાદ માતાની ચીસો અને સતત ગોળીઓના અવાજો સાંભળાતા રહ્યા.
જસપ્રીતે જણાવ્યું કે હુમલાખોરોએ તેના પર પણ 13 ગોળીઓ ચલાવી હતી. ખભાથી લઈને પગ સુધી શરીરના અનેક ભાગોમાં ગોળીઓ વાગી હતી. જીવ બચાવવા માટે ડોક્ટરોએ લગભગ 18 કલાક સુધી સર્જરી કરી હતી. ગળા અને પેટમાં વાગેલી ગોળીઓના કારણે તે કેટલાક સમય સુધી બોલી પણ શકતી નહોતી.
દાવા મુજબ એક ગોળી હજુ પણ તેની કરોડરજ્જુ પાસે ફસાયેલી છે, જેને દૂર કરવી ડોક્ટરો માટે જોખમી માનવામાં આવી રહી છે. આ ઘટનાના કારણે તેને નસોના ગંભીર નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે અને તે સામાન્ય રીતે ચાલી-ફરી શકતી નથી. સાથે જ તે ગંભીર માનસિક આઘાત અને ટ્રોમાથી પણ પસાર થઈ રહી છે.
શા માટે પોલીસ સામે થયો કેસ?
જસપ્રીત અને તેના ભાઈ ગુરદિત્ત સિદ્ધુએ 20 મે 2026ના રોજ વકીલ ફ્રેડરિક શૂમેન મારફતે કેનેડા પોલીસ સામે કેસ દાખલ કર્યો. પરિવારનો આરોપ છે કે પીલ રિજનલ પોલીસને આ ઘરને લઈને સંભવિત જોખમની જાણ હતી.
દાવામાં કહેવામાં આવ્યું છે કે ઘટનાના માત્ર ચાર દિવસ પહેલાં પોલીસના એક અધિકારીએ આ ઘરની મુલાકાત લીધી હતી. છતાં પરિવારને કોઈ ચેતવણી આપવામાં આવી નહોતી. પરિવારનો દાવો છે કે જો પોલીસ સમયસર માહિતી આપતી અથવા સુરક્ષા અંગે સૂચના આપતી, તો આ હુમલો ટાળી શકાય તેમ હતો.
વકીલ ફ્રેડરિક શૂમેનના જણાવ્યા અનુસાર આ કેસ માત્ર વળતર માટે નથી, પરંતુ પોલીસની જવાબદારી નક્કી કરવા માટે પણ મહત્વપૂર્ણ છે. તેમનું કહેવું છે કે કાયદા અમલવારી એજન્સીઓએ જોખમ વિશે સામાન્ય નાગરિકોને સમયસર જાણ કરવી જોઈએ.
આખી ઘટના પાછળ શું હતું?
તપાસમાં સામે આવ્યું હતું કે હુમલાખોરો ખરેખર “બોબી” નામના એક વ્યક્તિને શોધી રહ્યા હતા. આ સરનામું અગાઉ પણ ગેંગ સંબંધિત તપાસમાં સામે આવ્યું હોવાનું કહેવાય છે.
ઓક્ટોબર 2024માં અમેરિકાના કેલિફોર્નિયાની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે આરોપ મૂક્યો હતો કે કેનેડિયન ગેંગસ્ટર રાયન વેડિંગ અને તેના સાથી એન્ડ્રુ ક્લાર્કે ડ્રગ્સની ચોરી ગયેલી ખેપનો બદલો લેવા માટે “બોબી” નામના વ્યક્તિને મારવાનો આદેશ આપ્યો હતો.
હુમલાખોરો આ જ વ્યક્તિને શોધતા સિદ્ધુ પરિવાર જ્યાં રોકાયો હતો તે ઘરે પહોંચી ગયા હતા. ગેરસમજ અને ખોટી ઓળખના કારણે આ નિર્દોષ પરિવાર ગોળીબારનો ભોગ બન્યો.
પછી ઑન્ટારિયો પોલીસે પણ સ્વીકાર્યું હતું કે સિદ્ધુ પરિવાર હુમલાખોરોનું અસલી નિશાન નહોતો.
આ પણ વાંચો: એવરેસ્ટ સર કર્યા બાદ બન્યા કાળનો કોળિયો : શિખર પર તિરંગો લહેરાવી પરત ફરતા બે ભારતીય પર્વતારોહકોના મોત
પોલીસ શું કહી રહી છે?
પીલ રિજનલ પોલીસે પોતાના બચાવમાં જણાવ્યું છે કે તેમની પાસે એવી કોઈ ચોક્કસ માહિતી નહોતી જે દર્શાવે કે તે સરનામે રહેતા લોકોને જાનનો ખતરો હતો.
પોલીસનું કહેવું છે કે ઘટનાની પહેલાં તેમને એવી કોઈ વિશ્વસનીય ઇન્ટેલિજન્સ મળી નહોતી જેના આધારે પરિવારને ચેતવણી આપવામાં આવે. જોકે બાદમાં બહાર આવ્યું હતું કે તે સરનામું અગાઉના ગેંગ સંબંધિત ગોળીબાર સાથે જોડાયેલું હતું.
આ કેસમાં નામ સામે આવેલો ગેંગસ્ટર રાયન વેડિંગ જાન્યુઆરી 2026માં મેક્સિકોથી ધરપકડમાં લેવામાં આવ્યો હતો. આ કેસને ઉત્તર અમેરિકાના ડ્રગ નેટવર્ક અને ગેંગ વોર સાથે પણ જોડવામાં આવી રહ્યો છે.
કેમ મહત્વપૂર્ણ છે આ કેસ?
આ કેસ હવે માત્ર એક પરિવારની દુર્ઘટના પૂરતો મર્યાદિત નથી રહ્યો. કેનેડામાં પોલીસની જવાબદારી, જાહેર સુરક્ષા અને ગેંગ હિંસા સામેની કાર્યવાહી પર પણ ગંભીર ચર્ચા શરૂ થઈ છે.
ભારતીય અને ખાસ કરીને પંજાબી સમુદાયમાં આ ઘટનાને લઈને ભારે દુઃખ અને રોષ જોવા મળી રહ્યો છે. અનેક લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પોલીસને સંભવિત જોખમ વિશે જાણ હતી, તો પરિવારે તેની કિંમત શા માટે ચૂકવવી પડી?
આ કેસનો નિર્ણય ભવિષ્યમાં કેનેડાની કાયદા અમલવારી એજન્સીઓ માટે એક મહત્વપૂર્ણ કાનૂની ઉદાહરણ બની શકે છે.






