અમદાવાદના નરોડામાં ત્રણ ગઠિયાઓએ વેપારી પાસેથી 79.21 લાખનો માલસામાન ખરીદીને રૂપિયા ન ચૂકવી ઠગાઇ આચરી છે. તેમજ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, એનસીએલટીમાં પણ કંપનીની ખોટી એફિડેવીટ કરવામાં આવી હતી. આ અંગે નરોડા પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
મેમનગર ખાતે રહેતા 54 વર્ષિય વિપુલભાઇ પટેલ નરોડા જીઆઇડીસી ખાતે પ્લાસ્ટીકની બોટલોનું કારખાનું ધરાવે છે. ગત વર્ષ 2008માં વિપુલભાઇની ઓળખાણ સૂર્યા ઇન્ટરનેશનલના નામની કંપનીના માલિક ગૌતમભાઇ દ્વારકાપ્રસાદ બજાજ સાથે થઇ હતી. ત્યારબાદ કંપનીના ગૌતમભાઇ દ્વારકાપ્રસાદ બજાજ, દ્વારકાપ્રસાદ બજાજા અને સંજય દ્વારકાપ્રસાદ બજાજ સાથે વિપુલભાઇએ ધંધો શરૂ કર્યો હતો. જેમાં તેઓ અમૂક માલ આપ્યાના દિવસોમાં તેઓ પેમેન્ટ ચુકવી આપતા હતા અને અમૂક પેમેન્ટ મહિનાની અંદર આપતા હતા. વિપુલભાઇ ત્રણ જુદી જુદી કંપનીઓમાં માલ પહોંચાડતા હતા.
ગત વર્ષ 2013માં સુર્યા કંપનીમાં આગ લાગી હતી. ત્યારે વિપુલભાઇનું પેમેન્ટ બાકી હતુ. તેથી ભાગીદારોએ વિમાની રકમ આવશે ત્યારે પેમેન્ટ કરીશું તેમ જણાવ્યું હતું. પરંતુ વર્ષ 2018 સુધી મંગાવેલ કુલ રૂ. 79.21 લાખ માલસામાનના પૈસા ચુકવ્યા ન હતા. પૈસાની માંગણી કરતા ત્રણે ભાગીદારોએ જણાવ્યું હતું કે, અમારા મેનેજરે અમારી સાથે વિશ્વાસઘાત અને ઠગાઇ કરી છે તેથી હાલ પૈસા નથી પરંતુ અમે પૈસા ચુકવી આપીશું.
ત્યારે પૈસા ન ચુકવી આપતા આ અંગે કંપની સામે એનસીએલટી(નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ)માં અરજી કરી હતી. તે અરજી દફતરે થઇ ગઇ હતી. જેથી આ અંગેના વિપુલભાઇએ પેપર કઢાવતા જાણવા મળ્યું હતું કે, તેમની કંપનીમાં કામ કરતા પ્રતિક મેવાડાના 50 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામુ બનાવવામાં આવ્યું હતું. આ બોગસ સોગંદનામાના આધારે એનસીએલટીએ અરજી દફતરે કરી હતી. જેથી આ અંગે કોર્ટમાં સિવિલ સ્યુટમાં દાવો કરતા આરબી ટ્રેશનમાં મોકલી આપ્યો હતો. આ અંગે વિપુલભાઇએ નરોડા પોલીસ સ્ટેશનમાં ગૌતમભાઇ બજાજ, દ્વારકાપ્રસાદ બજાજા અને સંજય બજાજ સામે ફરિયાદ નોધાવી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





