ભારતીય શેરબજાર અત્યારે રોકાણકારો માટે નુકસાનકારક સાબિત થયુ છે. સોમવારે સેન્સેક્સમાં 1 હજારથી વધુ પોઈન્ટનો તો નિફ્ટીમાં 500 પોઈન્ટનો ઘટાડો થયો છે. ભારતીય શેરબજારમાં સતત નરમાશ જોવા મળી રહી છે, જેના કારણે રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે. સેન્સેક્સ જે 86 હજાર સુધી પહોંચ્યો હતો તે ધડામ થયા બાદ 76 હજારની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યો છે. ત્યારે જાણીએ એવું તો શુ થયું કે શેર માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, 3 કારણો પર નજર કરીએ જેનાથી રોકાણકારોના 4.53 લાખ કરોડ બજારમાં આવતા જ ડૂબી ગયા
શેરમાર્કેટ તૂટવાના ત્રણ કારણો
1. ગ્લોબલ માર્કેટમાં ઉઠલપાઠલ
શુક્રવારે અમેરિકી બજારમાં મોટો ઘટાડો થયો જેની અસર એશિયાના બજારોમાં પણ જોવા મળી છે. અમેરિકામાં રોજગારીને લઈ આવેલા અહેવાલ બાદ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની જે અપેક્ષા હતી, તેના પર હવે સંકટના વાદળ ઘેરાયા છે. આ કારણથી આવક ઘટવાની ચિંતા ઉભી થઈ અને તેની ભારતીય શેરબજારમાં નકારાત્મક અસર જોવા મળી.
2. કાચાતેલની કિંમતમાં વધારો
સોમવારે WTIમાં ક્રૂડના ભાવ 1.83 ટકા વધીને 77.97 ડોલર પર ટ્રેડ થયા હતા, અને બ્રેન્ટ ક્રૂડના ભાવ 1.74 ટકા વધીને 81.15 ડોલર પર ટ્રેડ થઈ રહ્યા હતા. રશિયન ઓઈલની નિકાસ પર અમેરિકાના પ્રતિબંધોના કારણે ક્રૂડ ઓઈલના ભાવ 3 મહિનાની ઊંચી સપાટીએ છે.
3. વિદેશી રોકાણકારોનું સતત વેચાણ
વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં વેચાવલી યથાવત રાખી, જેના કારણે રોકાણકારોના ઉત્સાહમાં ઘટાડો થયો. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં રૂ. 21,357.46 કરોડનું વેચાણ થયું છે. વિદેશી રોકાણકારો છેલ્લા ત્રણ મહિનામાં 1,77,402.49 કરોડના ચોખ્ખા વેચાણકર્તા હતા. વિદેશી રોકાણકારોના વેચાણનું કારણ ડૉલર ઈન્ડેક્સમાં સતત વધારો છે. ડૉલર ઈન્ડેક્સ હવે 109થી ઉપર છે.
DISCLAIMER:શેર બજારમાં રોકાણ અંગેના નિર્ણયો બજાપ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ લેવા




















