અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીને લઈને વર્ષોથી ચાલતો ગેરકાયદેસર બાંધકામનો વિવાદ હવે અંતિમ તબક્કે પહોંચ્યો છે. આ સોસાયટીમાં બનેલા અંદાજે 2 કરોડ રૂપિયાની કિંમતના 25 બંગલાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી દિવસોમાં ડિમોલેશન કરવામાં આવશે, એટલે કે આ તમામ મકાનો પર બુલડોઝર ફરશે. આ નિર્ણય બાદ સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને હવે બંગલામાં નહીં પરંતુ ફ્લેટમાં રહેવું પડશે.
સરદાર આવાસ યોજનામાં મકાન ફાળવવામાં આવશે
આ સમગ્ર મુદ્દે AMC અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલી સરદાર આવાસ યોજનામાં મકાન ફાળવવામાં આવશે. હાલ હંગામી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શાસ્ત્રીનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવાયેલા સરદાર પટેલનગરના આવાસોમાં શિફ્ટ થવા માટે સોસાયટીના તમામ સભ્યોએ સંમતિ દર્શાવી છે. આથી, રહીશોને તરત રહેવાની સમસ્યા ન પડે તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે.
લાંબા સમયથી કાનૂની લડાઈ ચાલી
સ્નેહાંજલિ સોસાયટીના ગેરકાયદેસર બાંધકામ અંગે લાંબા સમયથી કાનૂની લડાઈ ચાલી રહી હતી. અગાઉ AUDA દ્વારા આપવામાં આવેલી નોટિસ સામે રહીશોએ સિટી સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. ત્યારબાદ સોસાયટીની માલિકીની એન્ટ્રી રદ કરતો હુકમ પણ કરવામાં આવ્યો હતો. વધુમાં, વર્ષ 2003માં જગ્યાનો કબજો મેળવવા માટે હાઈકોર્ટમાં અપીલ પણ કરવામાં આવી હતી, પરંતુ અંતે સોસાયટીના ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો કાયદેસર રીતે સાબિત થયો.
મકાનોનું ડિમોલેશન કરવામાં આવશે
હવે વિવાદ પૂર્ણ થયા બાદ AMC દ્વારા સ્નેહાંજલિ સોસાયટીના તમામ મકાનોનું ડિમોલેશન કરવામાં આવશે. ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જે તે પ્લોટનો કબજો સંબંધિત મૂળ માલિકને સોંપવામાં આવશે. આ રીતે વર્ષોથી ચાલતો સ્નેહાંજલિ સોસાયટીનો વિવાદ હવે અંત પામશે અને શહેરમાં ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહીનો વધુ એક દાખલો સામે આવશે.






