Ahmedabad News : અમદાવાદમાં વધુ એક બેદરકારીભરી ઘટના સામે આવી છે. અમદાવાદ કોર્પેરશનની બેદરકારીના કારણે નાગરિકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરમાં ક્યાંક ગટરના ઢાંકણ ખુલ્લા હોય તો ક્યાંક રસ્તા જ જીવલેણ સાબિત થતાં હોય છે. કુબેરનગરના A-વોર્ડ ન્યૂ બંગલા વિસ્તારમાં રસ્તા પરના ગટરના ખાડાએ એક રાહદારીનો જીવ લીધો છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
બેરિકેટડ ન લગાવવાને કારણે મોત!
એક એક્ટિવા ચાલક રસ્તા પર ગટરના ખાડા પરથી પસાર થતાં જ જમીન પર પટકાયો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે આસપાસના લોકો તુરંત મદદે આવ્યા હતા અને તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને બ્રેઈન હેમરેજ થતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રસ્તા પરની ગટરના ચેમ્બરનો ખાડો અને તેની આસપાસ કોઈ બેરિકેટડ ન લગાવવાને કારણે મોત નીપજ્યું હતું.
ખાડાએ વધુ એકનો લીધો જીવ
સ્થાનિક લોકોનું કહેવું છે કે, ડ્રેનેજનું ઢાકણું લાંબા સમયથી તૂટી ગયું હતું અનેક વખત કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી હતી. આખરે ચેમ્બરના ખાડાને લીધે એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.





















