સરહદ પારની નાપાક હરકતનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પરંતુ દેશની અંદર રહીને દેશ વિરોધી કૃત્યોને અંજામ આપતા નક્સલીઓ પર પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે છત્તીસગઢ જિલ્લાના નારાયણપુર જિલ્લાના અબુઝમાડ જંગલમાં બુધવારે સવારે સુરક્ષા દળોએ 30 નક્સલીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં 30 નક્સલીઓને અબુઝમાડના જંગલોમાં જ ઠાર મારવામાં આવ્યાં હતા.
સુરક્ષાદળોએ કરેલા એન્કાઉન્ટરમાં અબુઝમાડના જંગલોમાંથી અત્યાર સુધી 20 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યાં છે. સાથે જ સુરક્ષાદળો દ્વારા નક્સલીઓના હથિયારો પણ કબજે કરવામાં આવ્યાં છે. આ સાથે સૌથી મોટા સમાચાર એ પણ છેકે, જેના પર અંદાજે બે કરોડ રૂપિયાનું ઈનામ હતું તે નક્સલીઓનો આકા બસવા રાજુનો પણ આ એન્કાઉન્ટરમાં ખાતમો કરવામાં આવ્યો છે. છત્તીસગઢના ગૃહ રાજ્યમંત્રીએ માહિતી આપી છેકે, હજુ પણ જંગલમાં નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું એન્કાઉન્ટ ચાલુ છે. છત્તીસગઢના દંતેવાડા, નારાયણપુર અને બીજાપુર જિલ્લાની સરહદ પર હાલ સુરક્ષાદળો દ્વારા નક્સલીઓ વિરુદ્ધ આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
છત્તીસગઢના ગૃહ રાજ્યમંત્રી વિજય શર્માએ આ એન્કાઉન્ટ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યુંકે,હજુ પણ નક્સલીઓ સામેનું આ એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોનો એક જવાન ઘાયલ થયો છે. વધુમાં તેમણે જણાવ્યુંકે,પોલીસને માહિતી મળી હતી કે નક્સલવાદી પોલિટબ્યુરોનો સભ્ય અને નક્સલવાદી સંગઠનનો મહાસચિવ બસવા રાજુ અબુઝમાડના બોટેરમાં હાજર છે. આ આધારે ફોર્સ રવાના કરવામાં આવી હતી. સૈનિકો અબુઝમાડના બોટર પહોંચ્યા કે તરત જ નક્સલીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો.






