Breaking News: મંગળવારનો દિવસ મધ્યપ્રદેશથી ગુજરાતમાં મજૂરી કરવા આવેલાં મજૂરો માટે મોતનો દિવસ સાબિત થયો. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી. વિકરાળ આગમાં 18 મજૂરોના મોત નીપજ્યાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું છેકે, આ માફ કરી શકાય એવી ઘટના નથી. આ ઘટનામાં જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી છે. રાજ્ય સરકાર મૃતકોના પરિજનને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય કરશે.
ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં કામ કરી રહેલાં મજૂરોમાં બાળ મજૂરો હોવાના પણ અહેવાલ મળી રહ્યાં છે. ખાસ કરીને આ ઘટનામાં મૃત્યુ પામેલાં લોકોમાં ચારથી પાંચ કિશોરો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ સમગ્ર ઘટનાને પગલે ફટાકડાની ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો છે. જ્યારે ઘટનામાં મૃત્યુ પામેલાં લોકોની ઓળખ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. ઉલ્લેખનીય છેકે, આ મજૂરો હજુ તો બે દિવસ પહેલાં જ મધ્યપ્રદેશથી અહીં કામકાજની શોધમાં આવ્યાં હતા અને મજૂરી કરવા જતા મોતને ભેટ્યાં. ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 1, 2025
આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું.…
બનાસકાંઠાના ડીસા જીઆઇડીસીમાં આવેલ ફટાકડાના ગોડાઉનમાં મોટો બ્લાસ્ટ થયો હતો. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા ફેક્ટરીમાં કામ કરેલા અનેક મજૂરોએ જીવ ગુમાવ્યો છે. પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રકાશમાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છેકે, વિસ્ફોટક પદાર્થમાં પ્રચંડ ભડાકો થતાં ગોડાઉન ધરાશાયી થયું હતું. મજૂરોનાં માનવઅંગો દૂર સુધી ફેંકાયાં હતા. હાલ SDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચી મોરચો સંભાળ્યો છે.
જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ઘટના અંગે જણાવ્યું હતુંકે, ડીસામાં ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં આગની ઘટનામાં 12 લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે. કાટમાળમાંથી 12 મૃતદેહો નીકળ્યા હોવાની માહિતી તેમણે આપી હતી. જ્યારે ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં અંદર કામ કરતા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે, મૃતકઆંક વધવાની મોટી સંભાવના છે. એસડીઆરએફની ટીમે તાત્કાલિક સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.






