ગુજરાતમાં દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે.વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે.ત્યારે મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી એક જ પરિવારના 3 સભ્યોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
શંખેશ્વરમાં ફેબ્રિકેશનનું કામ કરતા ધર્મેશ પંચાલે તેમની પત્ની ઉર્મિલા અને 10 વર્ષના પુત્ર પ્રકાશ સાથે નર્મદા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસને એક સુસાઈડ નોટ મળી છે. જેમાં લખ્યું છે કે, થાકી ગયો છું, કોઈ રસ્તો નથી દેખાતો એટલે જિંદગી ખલાસ કરું છું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગઈકાલે એટલે કે શનિવારે મોડી રાત્રે આદુન્દ્રા નર્મદા કેનાલમાંથી ઉર્મિલાબેન અને પુત્ર પ્રકાશનો મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે આજે રવિવારે સવારે બલાસર નર્મદા કેનાલમાંથી ધર્મેશભાઈનો મૃતદેહ મળ્યો હતો.પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહને કડી કુંડાળ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.




















