અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો રાજકીય ટકરાવ વધુ તેજ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના વિરોધમાં ગુજરાત ભાજપે આજે પાલડી સ્થિત કોંગ્રેસના પ્રદેશ મુખ્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું છે. ભાજપના આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં યોજાનારા આ ધરણા પ્રદર્શનમાં પ્રદેશના પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ ભાજપના નેતાઓ પાલડી પહોંચવા લાગ્યા હતા. પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિતના આગેવાનો પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં દીપડાની દહેશત : વન વિભાગે આપી ગાઈડલાઈન, જાણો દીપડો દેખાય તો શું કરવું
રાજીવ ગાંધી ભવન આસપાસ લોખંડી બંદોબસ્ત
કોંગ્રેસ અને ભાજપના કાર્યક્રમોને લઈને સંભવિત ઘર્ષણની શક્યતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રાજીવ ગાંધી ભવનની આસપાસના તમામ મુખ્ય માર્ગો પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને પોલીસનો વિશાળ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ), સેક્ટર-1ના જેસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ઘુમામાં દીપડાની શોધ દરમિયાન થર્મલ ડ્રોનમાં કેદ થઈ નીલગાય : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં 30થી વધુ ટીમો સતત સર્વેલન્સમાં
દિલ્હીના વિરોધના ગુજરાતમાં પડઘા
કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના રાજકીય પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા છે. તેના જવાબમાં ભાજપે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવાનો નિર્ણય લીધો છે.
આ પહેલાં આજે સવારે કોંગ્રેસે પણ રાજીવ ગાંધી ભવનથી રેલી કાઢી હતી. રેલી દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને કોંગ્રેસના કેટલાક નેતાઓ તથા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ એ જ સ્થળે ભાજપના વિરોધ કાર્યક્રમને કારણે સમગ્ર વિસ્તાર રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યો છે.
પોલીસ સતત સ્થિતિ પર નજર રાખી રહી છે
રાજીવ ગાંધી ભવન આસપાસ હાલમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. બંને પક્ષોના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની કાયદો-વ્યવસ્થાની સમસ્યા ઊભી ન થાય તે માટે જરૂરી તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.





