પાટણ જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની વરણીને લઈને પક્ષમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના કિરીટ પટેલે કોંગ્રેસ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે આ મામલે ભાજપની પણ પ્રતિક્રિયા સામે આવી છે.
'કોંગ્રેસએ કાર્યકરોનો આક્રોશ યાત્રા કાઢવી જોઈએ'
ગુજરાત ભાજપના મીડિયા ઈનચાર્જ પ્રશાંત વાળાએ કહ્યું કે, 'કોંગ્રેસને જન આક્રોશ યાત્રાની જગ્યાએ કાર્યકરોનો આક્રોશ યાત્રા કાઢવી જોઈએ. આજે સમગ્ર દેશ અને ગુજરાતમાં અને ગામે ગામ કોંગ્રેસનો કાળો કકળાટ છે. જે કકળાટ એ કોઈ મોટી વસ્તુ નથી. કારણ કે, આઝાદીથી લઈ અત્યાર સુધી કોંગ્રેસમાં 70 વખત ભાગલા પડ્યા છે એટલે આ વસ્તુ કોઈ નવી નથી. આંતરિક કલહ, પરિવારવાદ અને કકળાટના લીધે દેશમાં ભાગલા પડ્યા છે.
'કિરીટ પટેલ રાજીનામું આપે તો એ કંઈ નવી વાત નથી'
પ્રશાંત વાળાએ વધુમાં કહ્યું કે, 'ગુજરાતમાં પણ અનેકવાર કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યોઓએ કોંગ્રેસની રીતિ નીતિથી કંટાળીને રાજીનામાં આપ્યા છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ રાજીનામું આપે તો એ કંઈ નવી વાત નથી. કારણ કે, કોંગ્રેસએ ડૂબતી નૈયા છે એટલે જ્યારે જેને તક મળે ત્યારે તે કૂદકો મારીને તેમાંથી બહાર નીકળે એટલે કોંગ્રેસ ધીરે ધીરે નેસ નાબૂદ થવાની દિશામાં છે'.
'કોંગ્રેસની ફૂટેલી તોફો છે તેમને પ્રાધાન્ય આપે છે'
કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે, 'પાટણમાં જે રીતે કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરોને એકબાજું મૂકીને જે કોંગ્રેસની ફૂટેલી તોફો છે તેમને પ્રાધાન્ય આપે છે. કિરીટ પટેલએ કહ્યું કે, 'આજે અમે વિધાનસભાના કોંગ્રેસ કાર્યલય જઈશું અને અમારી માંગણીઓ નહી સંતોષાય તો દંડક પદેથી રાજીનામું આપી દઈશું. આ પદ કોંગ્રેસ પાર્ટીએ જ આપ્યું છે એટલે અમારે રાજીનામું પક્ષને જ આપવું પડતું હોય છે. અમને કોઈ વ્યક્તિથી વાંધો નથી પરંતુ ચૂંટણી પક્ષ વિરોધી અને અમારા વિરોધી પ્રવૃતિઓ કરવામાં આવી છે તેનો વિરોધ છે.





















