Assam Election Co-incharge : આગામી આસામ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રભારી અને સહપ્રભારીની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં તત્કાલીન કેન્દ્રીય કાપડ મંત્રી દર્શના જરદોશને આસામ વિધાનસભાની ચૂંટણી માટે સહપ્રભારી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારી મળ્યા બાદ દર્શના જરદોશએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી. નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, પાર્ટીએ તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે તેને તેઓ પૂરી નિષ્ઠા અને જવાબદારી સાથે નિભાવશે.
'સંગઠન અને સત્તાના સમન્વયથી અમે આસામમાં જીત મેળવીશું'
દર્શના જરદોશએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “મને મોટી જવાબદારી મળી છે. સંગઠન અને સત્તાના સમન્વયથી અમે આસામમાં ભવ્ય જીત મેળવીશું” તેમણે વધુમાં કહ્યું કે, 'ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પ્રજાની વચ્ચે રહેતો હોય છે અને દરેક જવાબદારી માટે તૈયાર રહેતો હોય છે. કાર્યકર્તાઓનો લોકો સાથેનો સતત સંપર્ક જળવાયેલો રહે છે, જેના કારણે તેઓ કોઈપણ કામગીરી માટે સજ્જ હોય છે.
'ત્યાંનો અનુભવ મને છે'
આસામને ઉત્તર-પૂર્વ ભારતનું પ્રવેશ દ્વાર ગણાવતા તેમણે જણાવ્યું કે, 'એક મંત્રી તરીકે હું નોર્થ ઈસ્ટનો પ્રવાસ કરી ચૂકી છું અને ત્યાંનો અનુભવ મને છે.' તેમણે ઉમેર્યું કે, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલાથી જ નોર્થ ઈસ્ટને વિશેષ મહત્વ અને મોટો દરજ્જો આપ્યો છે'. દર્શના જરદોશએ જણાવ્યું કે, 'હાલમાં આસામમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને તે સરકાર સાથે મળીને પાર્ટી વધુ મજબૂતીથી આગળ વધવા પ્રયત્નશીલ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી મોદીની યોજનાઓ સીધી રીતે લોકોના મન સુધી પહોંચી છે, જેના કારણે આવનારી ચૂંટણીમાં પાર્ટીને મોટો ફાયદો થશે'.






