અમરેલી ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. ભરત કાનાબારે મહાત્મા ગાંધીના હત્યારાને મહિમામંડિત કરતા એક જાહેર નાટકના આયોજન સામે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતમાં અહિંસાના પૂજારીના હત્યારાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ થવો અત્યંત શરમજનક અને આઘાતજનક હોવાનું તેમણે જણાવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કરેલી પોતાની પોસ્ટમાં ડૉ. કાનાબારે સ્પષ્ટ શબ્દોમાં આ ઘટનાની નિંદા કરી હતી.
હત્યાને ન્યાયી ઠેરવવી એ લોકશાહી અને નૈતિક મૂલ્યો પર સીધો પ્રહાર સમાન
આ મુદ્દે ભાજપના અન્ય ઘણા નેતાઓ મૌન રહ્યા છે, ત્યારે ડૉ. ભરત કાનાબાર ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરનાર પક્ષના એકમાત્ર નેતા તરીકે સામે આવ્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે દેશને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરાવનાર 79 વર્ષના નિઃશસ્ત્ર મહાત્મા ગાંધીની હત્યા કરનારને ‘બહાદુર’ ગણાવવું અને આવી કાયરતાપૂર્ણ હત્યાને ન્યાયી ઠેરવવી એ લોકશાહી અને નૈતિક મૂલ્યો પર સીધો પ્રહાર સમાન છે.
'આવા કૃત્યો સામે કડક વલણ અપનાવવાની જરૂરિયાત દર્શાવી'
ડૉ. કાનાબારે વધુમાં જણાવ્યું કે, દેશની શાંતિ, એકતા અને અખંડિતતાને ડહોળવા માટે આવા કાર્યક્રમો આયોજિત કરવાનું કાર્ય અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે સ્પષ્ટતા કરી કે કોઈના વિચારો સાથે અસહમત થવું એક બાબત છે, પરંતુ તેના માટે હત્યા કરનારને સમર્થન આપવું કે તેને મહિમા આપવો ક્યારેય યોગ્ય નથી. ડૉ. કાનાબારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાતની ધરતી પર મહાત્મા ગાંધીના અપમાનને સહન કરવામાં નહીં આવે. તેમણે સમાજ અને તંત્રને ચેતવણી આપતા આવા કૃત્યો સામે કડક વલણ અપનાવવાની જરૂરિયાત દર્શાવી છે.




















