વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે શુક્રવારે (4 એપ્રિલ, 2025) બેંગકોકમાં બિમ્સટેક શિખર સંમેલન દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજી હતી બેઠક પછી, યુનુસની ઓફિસે X પર બેઠક વિશે પોસ્ટ કરી. આ પ્રસંગે પીએમ મોદીને યુનુસે આ ખાસ ભેટ આપી.
દ્વિપક્ષીય બેઠક બાદ મોહમ્મદ યુનુસે પીએમ મોદીને એક ફોટો ભેટમાં આપ્યો હતો. આ તસવીર 3 જાન્યુઆરી, 2015ના રોજ લેવામાં આવી હતી, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ મુંબઈમાં યોજાયેલી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની 102મી આવૃત્તિમાં યુનુસને ગોલ્ડ મેડલ અર્પણ કર્યો હતો.
વચગાળાની સરકારના મુખ્ય સલાહકારના પ્રેસ સચિવ અબુલ કલામ આઝાદ મજૂમદારના જણાવ્યા અનુસાર, યુનુસે સદભાવના સંકેત તરીકે મોદીને ફોટો રજૂ કર્યો હતો. આ દરમિયાન બંને નેતાઓ હસતા જોવા મળ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે શેખ હસીનાના નેતૃત્વમાં આવામી લીગની સરકારના પતન અને તેમના ભારત ભાગી જવા પછી ભારત-બાંગ્લાદેશના સંબંધો સરળ રહ્યા નથી.
યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર લઘુમતી સમુદાય પરના હુમલાઓ માટે ગંભીર ટીકાનો સામનો કરી રહી છે. ભારતે આ મુદ્દે વારંવાર બાંગ્લાદેશ સાથે પોતાની ચિંતાઓ શેર કરી છે. બંને નેતાઓ વચ્ચેની બેઠક મહત્વપૂર્ણ છે કારણ કે યુનુસ તાજેતરમાં જ ચીનની મુલાકાતેથી પરત ફર્યા હતા. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા બન્યા ત્યારથી યુનુસ ચીન પ્રત્યે ખૂબ નરમ રહ્યા છે.
તણાવપૂર્ણ રાજકીય વાતાવરણ વચ્ચે પીએમ મોદીએ તાજેતરમાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસના પ્રસંગે યુનુસને પત્ર લખ્યો હતો. તેમણે બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે પત્ર લખ્યો હતો અને બંને દેશો વચ્ચેની ભાગીદારીને આગળ વધારવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.





