Bihar Politics News: બિહારના રાજકીય ઈતિહાસમાં આજે 14 એપ્રિલ, 2026નો દિવસ એક સુવર્ણ અક્ષરે લખવા જઈ રહ્યો છે. છેલ્લા બે દાયકાથી બિહારના શાસન અને રાજકારણના કેન્દ્રબિંદુ રહેલા નીતીશ કુમાર આજે સત્તાવાર રીતે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. આ સાથે જ બિહારમાં 'નીતીશ યુગ'નો સત્તાવાર રીતે અંત થશે અને એક નવા યુગની શરૂઆત થશે.
બિહારમાં શાસન પરિવર્તનની ઘડી: સવારે મંત્રીમંડળની અંતિમ બેઠક
બિહારમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળોનો આજે આખરે અંત આવ્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે સવારે ૧૧ વાગ્યે પોતાના નિવાસસ્થાને કેબિનેટની છેલ્લી બેઠક બોલાવી છે. આ બેઠકમાં મંત્રીમંડળના સાથીઓ સાથેની ચર્ચા બાદ તેઓ બપોરે રાજભવન તરફ પ્રયાણ કરશે. અનેક ચડાવ-ઉતાર અને ગઠબંધનની રાજનીતિના માસ્ટર ગણાતા નીતીશ કુમારના આ નિર્ણયથી રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
નીતીશ કુમાર માટે આજનો દિવસ ભાવનાત્મક અને રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વનો છે. રાજીનામું આપતા પહેલા તેઓ પોતાના દિવસની શરૂઆત સામાજિક ન્યાયના પ્રતીક એવા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપીને કરશે. આ કાર્યક્રમ બાદ તેઓ ઔપચારિક પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સત્તાનો ત્યાગ કરશે.
આ પણ વાંચો: આજે 14 એપ્રિલ : બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ
રાજ્યપાલ સાથે મુલાકાત: બપોરે 3:15 વાગ્યે સોંપશે રાજીનામું
રાજભવન દ્વારા મળતી માહિતી મુજબ, નીતીશ કુમારને રાજ્યપાલ સાથે મુલાકાત કરવા માટે બપોરે 3:15 વાગ્યાનો સમય ફાળવવામાં આવ્યો છે. આ મુલાકાત દરમિયાન તેઓ પોતાનું રાજીનામું સુપરત કરશે. ઘણા દિવસોથી બિહારના ગલી-મહોલ્લાથી લઈને દિલ્હીના રાજકીય ગલિયારામાં એવી ચર્ચા હતી કે, 14 એપ્રિલના રોજ મંગળવારે નીતીશ કુમાર મોટો નિર્ણય લેશે, અને હવે આ સમાચાર પર મહોર લાગી ગઈ છે.
કોણ હશે બિહારનો નવો 'તાજ'? સસ્પેન્સ હજુ પણ યથાવત
નીતીશ કુમારના રાજીનામા બાદ હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે બિહારની ગાદી કોણ સંભાળશે? નીતીશ કુમાર પોતાના અનુગામી તરીકે કોના પર પસંદગીનો કળશ ઢોળશે તેને લઈને હાલમાં ભારે રહસ્ય અકબંધ છે. પક્ષના અંદરના સૂત્રો મુજબ, અનેક નામો ચર્ચામાં છે, પરંતુ નીતીશ કુમારે હંમેશાની જેમ આ બાબતે મૌન જાળવી રાખ્યું છે. રાજીનામા બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
બાબાસાહેબને શ્રદ્ધાંજલિ: અંતિમ જાહેર કાર્યક્રમ
આજે ૧૪ એપ્રિલ એટલે કે આંબેડકર જયંતી હોવાથી નીતીશ કુમાર સવારે પ્રતિમાને માળા અર્પણ કરશે. મુખ્યમંત્રી તરીકે આ તેમનો છેલ્લો જાહેર કાર્યક્રમ હોવાનું માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ એક સંકેત છે કે તેઓ બિહારના રાજકારણમાં પોતાની સામાજિક ન્યાયની છબી સાથે વિદાય લેવા માંગે છે.






