અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.

કલેકટર સુજીત કુમારે જણાવ્યું હતું કે નાગરિકો અને પદાધિકારીઓ સાથે વિવેકપૂર્ણ સકારાત્મક અભિગમ સાથે વાત કરવાથી સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે છે, તેમણે અધિકારીઓને સરકારના પત્રો અને પરિપત્રોનો વિગતે અભ્યાસ કરી ત્વરાએ પાલન કરવા જણાવ્યું હતું.કલેકટરએ અધિકારીઓને તેમના વિભાગને લગતી બિલ્ડિંગો સહિતની માળખાની ચકાસણી કરી તેનો અહેવાલ આપવા પણ તાકીદ કરી હતી.
જિલ્લા કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું કે સંકલનની બેઠકમાં પ્રજાના પ્રશ્નોનું પદાધિકારી દ્વારા રજૂ થાય જે નિયત સમય મર્યાદામાં નિકાલ થાય તે જરૂરી છે, તેમણે સંકલનના અધિકારીઓને સત્વરે નિયમાનુસાર હકારાત્મક નિરાકરણ માટે તાકીદ કરી હતી.કલેક્ટરએ ઉમેર્યું હતું કે, નાગરિકોના પ્રશ્નોનું માનવીય અભિગમથી ત્વરીત ધોરણે નિકાલ લાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં બિનજરૂરી થાંભલા દૂર કરવા સહિત જર્જરિત અને ભયજનક માળખા દૂર કરવા સૂચના આપી હતી.
બેઠકમાં પોલીસ સંબંધિત પ્રશ્નો, કેનાલની સફાઈના પ્રશ્નો, જાહેર સ્થળો અને રસ્તા પર દબાણોના પ્રશ્નો, વીજ જોડાણ, આવાસ યોજનાના મકાનની ફાળવણી, રેલ્વેના પ્રશ્નો, બંધ રસ્તાના ડાયવર્ઝન આપવા સહિતના પ્રશ્નોની વિગતે ચર્ચા કરાઇ હતી.
આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્યઓ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેકટર ભાવિન સાગર, અધિક નિવાસી નાયબ કલેકટરહાર્દ શાહ, ઉચ્ચ પોલીસ અધિકારી સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






