Gujarat Land Survey: ગુજરાતના ખેડૂતો અને ગ્રામીણ નાગરિકો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઐતિહાસિક અને લોકહિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલા જમીન માપણી અને પ્રમોલગેશનના વિવાદોનો ઉકેલ લાવવા માટે હવે 'ભૂમિ સીમાંકન' અંતર્ગત સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિ અમલી બનાવવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોને વર્ષો જૂની માપણીની ક્ષતિઓમાંથી મુક્તિ મળશે.
ભૂમિ સીમાંકન સમિતિની રચના
મુખ્યમંત્રીના આદેશ અનુસાર, હવે દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક વિશેષ 'ભૂમિ સીમાંકન સમિતિ' કાર્યરત થશે. આ સમિતિમાં નીચે મુજબના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. જેમાં નિવાસી અધિક કલેક્ટર, SLR / નાયબ નિયામક જમીન દફતર, પ્રાંત અધિકારી અને DILR, મામલતદાર અને TDO અને જમીન સંપાદન અધિકારી અને અન્ય સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓ.
ક્ષતિ સુધારણા માટે 7 સ્પષ્ટ કેટેગરી
જમીન માપણીમાં આવતી વિવિધ મુશ્કેલીઓના વ્યવસ્થિત નિકાલ માટે મહેસૂલ વિભાગ દ્વારા સાત અલગ-અલગ કેટેગરી નક્કી કરવામાં આવી છે. જેમાં સરકારી જમીનમાં ઘટાડો, વાંધા અરજીઓની સ્થિતિ, ક્ષેત્રફળમાં ફેરફાર અને આકૃતિમાં ફેરફાર જેવા મુદ્દાઓને આધારે વર્ગીકરણ કરીને ત્વરિત નિવારણ લાવવામાં આવશે. ખેડૂતોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને પારદર્શક રીતે તેમની જમીન સંબંધિત સમસ્યાઓ ઉકેલાય તે જ સરકારની પ્રાથમિકતા છે."
મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા સ્થળ પર જ નિકાલ
આ નિર્ણયની સૌથી મહત્વની કડી એ છે કે, જટિલ પ્રશ્નોના નિકાલ માટે હવે ખેડૂતોએ કોર્ટ કે કચેરી સુધી જવું નહીં પડે. મુખ્યમંત્રીએ મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિની રચના કરવા સૂચના આપી છે. આ સમિતિ સ્થળ પર જઈને વિવાદોની સમીક્ષા કરશે. જમીન મહેસૂલ અધિનિયમની કલમ 119, 120 મુજબ કાર્યવાહી કરશે. તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારોને વધુ સત્તા આપીને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરશે.
ગુડ ગવર્નન્સ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ
આ નિર્ણય માત્ર ખેડૂતો પૂરતો સીમિત નથી, પરંતુ તેનાથી ગુજરાતમાં 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને પણ મોટો વેગ મળશે. જમીન રેકોર્ડની સચોટતા વધવાથી વહીવટી પ્રક્રિયા વધુ સરળ બનશે અને ભવિષ્યના વિવાદોમાં ઘટાડો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ ક્રાંતિકારી અભિગમથી રાજ્યના લાખો ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પારદર્શી અને ઝડપી ન્યાયની આ વ્યવસ્થા 'સુશાસન'ની દિશામાં એક મજબૂત ડગલું સાબિત થશે.




















