Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યમાં પીએનજી (PNG) ગેસ તથા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સ્થિતિ અંગે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના નાગરિકો અને વ્યાપારિક એકમોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા PNG કનેક્શન માટે 'તત્કાલ' સુવિધા
મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે રાજ્યના જે વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) માટેનું પાઈપલાઈન નેટવર્ક પહેલેથી ઉપલબ્ધ છે, ત્યાં હવે કનેક્શન મેળવવામાં વિલંબ નહીં થાય. નીચે મુજબના એકમો જો નવા પીએનજી કનેક્શનની માંગણી કરશે, તો તેમને તત્કાલ અસરથી કનેક્શન ફાળવી દેવામાં આવશે. જેમાં રેસ્ટોરન્ટ અને હોટેલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનો સમાવેશ થાય છે.
ગેસ પુરવઠાની સ્થિતિ: પૂરતો જથ્થો ઉપલબ્ધ
બેઠકમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડોમેસ્ટિક (ઘરગથ્થુ) વપરાશ માટે જે નાગરિકો પાઈપલાઈન ગેસનો ઉપયોગ કરે છે, તેમના માટે રાજ્યમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પુરવઠાને લઈને નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી.
બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સરકારના મંત્રીમંડળના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી), એમ. કે. દાસ (મુખ્ય સચિવ), ઋષિકેશ પટેલ (ઊર્જામંત્રી), ડૉ. હસમુખ અઢિયા (મુખ્ય સલાહકાર), રમણભાઈ સોલંકી (અન્ન નાગરિક પુરવઠામંત્રી), મોના ખંધાર (અધિક મુખ્ય સચિવ), અશ્વિની કુમાર (અગ્ર સચિવ, ઊર્જા), અવંતિકા સિંઘ (MD, GSPC) અને ડૉ. વિક્રાંત પાંડે (અધિક અગ્ર સચિવ) હાજર રહ્યા હતા.
સરકારના આ નિર્ણયથી રાજ્યમાં સ્વચ્છ ઈંધણના વપરાશને વેગ મળશે અને વ્યાપારિક તેમજ સામાજિક સંસ્થાઓને ગેસ સિલિન્ડરના મેનેજમેન્ટમાંથી મુક્તિ મળી, પાઈપલાઈન દ્વારા સરળતાથી ગેસ પ્રાપ્ત થશે. આ પગલું રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધામાં વધારો કરનારું સાબિત થશે.




















