ભાવનગર-રાજકોટ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખના પતિને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટનાને લઇ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. બનાવને લઇ પોલીસ દ્વારા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર-રાજકોટ હાઈવે પર ગોજારો અકસ્માત
ભાવનગર-રાજકોટ હાઈવે પર ગઢુલા નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણીના પતિ મુળજીભાઈ મિયાણીનું દુઃખદ અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુળજીભાઈ મિયાણી ગઢુલા નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે સિહોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસે શોધખોળ હાથ ધરી
મુળજીભાઈ મિયાણીના નિધનના સમાચાર મળતા જ ભાજપના અગ્રણીઓ તાત્કાલિક સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ભાજપ અગ્રણીઓએ પરિવારને સાંત્વના પાઠવી હતી. મુળજીભાઈ મિયાણીના આકસ્મિક નિધનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેઓ એક જાણીતા રાજકીય આગેવાન અને સમાજસેવક તરીકે લોકપ્રિય હતા.આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત અંગે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અકસ્માતના કારણો અને વાહન ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ગઢડામાં વ્યાજખોરો બન્યા બેફામ!: 10 લાખના બદલે કરી 70 લાખની માંગ! જમીન કબજે કરીને જાનથી મારવાની ધમકી આપતાં ખેડૂતે નોંધાવી FIR






